3 ઑક્ટો, 2013

આધુનિક વાનરો અને ટોપીવાળો

છેલ્લી પાંચ પેઢીથી ટોપી વેચતો ફેરિયો પહેલીવાર એક નવા ગામની ભાગોળમાં પ્રવેશ્યો. એને દૂરથી આવતો જોઇને એક વાનરે "ટોપીવાળો ઘણા દિવસ પછી આવી રહ્યો છે" એમ પોતાના સ્માર્ટફોન પર ટાઈપ કરીને  ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરી દીધું. ઘડીના છટ્ઠા ભાગમાં પચાસ વાનરોનું ટોળું ચોરેલા સ્માર્ટફોન હાથમાં લઈને ટોપીવાળો પહોંચે એ પહેલાં જ વડના ઝાડ ઉપર એકઠું થઇ ગયું.

આદત મુજબ ફેરિયો બપોરના રોટલા ખાઈને વડના ઝાડ નીચે આરામ ફરમાવવા માંડ્યો ને અડધા કલાક પછી ઉઠીને જોયું તો પોટકામાંથી અડધોઅડધ  ટોપીઓ ગાયબ થઇ ગઈ હતી. ઉપર નજર કરી તો મોટા ભાગના વાનરો ટોપી પહેરીને એક બીજાના જાતજાતના ને ભાતભાતના ફોટાઓ પાડીને ફેસબુક પર અપલોડ કરી રહ્યા હતા અને એક બીજાની ઠઠ્ઠામશ્કરી કરતી કોમેન્ટ્સ પાસ કરી રહ્યા હતા.

ટોપીવાળાએ એમનું ધ્યાન ખેંચવા માટે તાળીઓ પાડી પણ કોઈએ ધ્યાન આપ્યું નહિ છેવટે કંટાળીને બૂમ મારી "એય વાંદરાઓ, આમ જુઓ તો ખરા !"
"વાંદરો તારો બાપ." એક વાનરે પ્રત્યુતર પાઠવ્યો.
ટોપીવાળો તો આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયો આમ છતાં બાપુજીએ આપેલી સૂચનાનું પાલન કરીને માથું ખંજવાળવાનું શરુ કર્યું.

આ જોઇને વાનરો એનો ફોટો પાડવા મંડી પડ્યા. એક ચાલક વાનરે તો ધારણા બાંધીને "વ્હોટસઅપ" પર મેસેજ વહેતો પણ મૂકી દીધો."હવે જોજો, એ માથા પર ટોપી પહેરીને આપણી સામે જોયા પછી કાઢીને નીચે નાખશે."  એ વાનરની ધારણા મુજબ જ ટોપીવાળાએ માથા પર ટોપી ચઢાવી, એમની સામે જોયું ને પછી ટોપી કાઢીને ધડામ દઈને નીચે નાંખી દીધી. ત્યાર પછી બધા વાનરો એનું અનુકરણ કરશે એમ માનીને એ રાહ જોવા લાગ્યો પણ એની અપેક્ષા મુજબ કશું જ બન્યું નહિ.

 વાનરોને એની સામે જોવાનો સમય જ ક્યાં હતો કારણ મોટા ભાગના વાનરો તો સ્માર્ટ ફોન ઉપર "વર્ચ્યુઅલ વર્લ્ડ"માં મશગૂલ અને ખોવાયેલા હતા.

છેવટે હારી થાકીને ટોપીવાળાએ વાનરોના આગેવાનને એનું કારણ પૂછી જોયું ;"અલ્યા, મારા બાપુજીએ તો કહ્યું હતું કે વાનરો ટોપી લઇ જાય તો ચિંતા કરવાની નહિ પણ હું કહું એમ કરવાનું કારણ વાનરો અનુકરણ કરવામાં પાવરધા હોય છે. એમની સૂચનાનું મેં અક્ષરશ: પાલન કર્યું પરંતુ તમારી ઉપર કેમ એની કોઈ અસર થઇ નહિ?"

"અમારા વડવાઓએ પણ અમને આજ વાત કહી હતી અને સાથે સાથે એ પણ શીખવાડ્યું હતું કે ટોપીવાળાનું અનુકરણ કરીકરીને અમે તો મૂરખ બનતા આવ્યા છીએ પણ તમે એવું ન કરતા." વાનરોના આગેવાને છાતી કાઢીને ગૌરવથી જવાબ આપ્યો.

"અમે તો ક્યારનાય સુધરી ગયા પણ તમે તો .......... હજીય એવા ને એવા જ રહ્યા." આગેવાનના પી.એ. એ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું ને એ વાંચીને  બધા જ વાનરો ટોપીવાળાની મૂર્ખામી પર જોરજોરથી હસવા લાગ્યા.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...