29 ડિસે, 2014

અમારે પણ પેટ છે.

પ્રથમ વર્ષે, ઉનાળાની રજાઓમાં 'નોવિશિયેટ'માંથી અમને ઝઘડીયા વિસ્તારના ગામોમાં રહેવા માટે મોકલ્યા હતા. પંદર દિવસ અમે હિંગોરીયા નામના ગામમાં રોકાયા હતા. હિંગોરીયા ગામ નાનું પણ રળિયામણું હતું. આજુબાજુનાં ગામનાં ખ્રિસ્તીઓ માટે તો એ આસ્થાનું કેન્દ્ર હતું કારણ, વર્ષો પહેલાં અહીંથી જ ખ્રિસ્તી ધર્મનાં મૂળીયાં રોપાયા હતા. આમછતાં, દુઃખની વાત એ કે અત્યારે એ ગામની સ્થિતિ બાઈબલમાં વર્ણવેલા 'સદોમ' અને 'ગોમોરા' જેવી હતી. ગામનાં લોકો શ્રદ્ધાની બાબતમાં ઉણા ઉતરતા જતા હતા. નવી પેઢી તો ઉતરોત્તર ધર્મથી વિમુખ થતી જઈ રહી હતી. આવા ગામમાં રોકાવું એ જ મોટો પડકાર હતો. 

સવારથી બપોર સુધી અમે બાળકો સાથે રમતગમતમાં વિતાવી દેતા હતા ને સાંજના સમયે ગામલોકોની મુલાકાત લેતા હતા. અમારી રહેવાની અને જમવાની વ્યવસ્થા ગામલોકોએ જ ઉઠાવી હતી. જમવા માટે અમે જુદા જુદા ઘરે જતા હતા. સ્વેચ્છાએ ગામલોકો આગેવાન પાસે યજમાનગીરી માટે નામ નોંધાવતા હતા ને આગેવાન નક્કી કરે એ મુજબ અમે જમવા માટે જતા હતા. પહેલા દિવસે અમે જમવા માટે ગયા ત્યારે જમણમાં 'લાલભાજી', રોટલા અને ભાત જોઇને ભારે ખુશ થઇ ગયા હતા. બ્રધર એટલે મહેમાન ગણાય ને મહેમાનને જેવું તેવું ભોજન તો ના જ અપાય ને! એમ વિચારીને ગામલોકો અમને ભારે હોંશથી ભોજન પીરસતા હતા. પરંતુ, ઉત્સાહના અતિરેકમાં મહેમાનને 'રહો' ખવડાવવાને બદલે માત્ર ને માત્ર કકડા જ અને એ પણ વાટકો ભરીભરીને પીરસતા હતા. કકડા ખાવામાં ને ખાવામાં લગભગ છ દિવસ વીતી ગયા ને હજી તો બીજા દસ દિવસ બંને ટંક અમારે માત્ર એજ ખાવાનું નક્કી હતું.

વાત એમ હતી કે બાજુના ગામમાં પથ્થરની ખાણો આવેલી હતી. આથી ગામનો મોટાભાગનો પુરુષ વર્ગ ડ્રાઈવર તરીકે નોકરી કરીને રોજીરોટી કમાઈ લેતો હતો. છત્રીસ કલાક ડ્રાઈવીંગ કરવાનું ને છત્રીસ કલાક આરામ. કમાણી મજૂરીની સરખામણીમાં ઘણી વધારે ગણાય. આથી જયારે ઘરનો મોભી નોકરી પરથી ઘરે આવે ત્યારે થાક ઉતારવા માટે ખાણીપીણીની મહેફિલ જમાવે. બાજુના રાજપારડી ગામમાં 'લાલભાજી' પૂરતા પ્રમાણમાં મળી રહે એથી એમને 'લાલભાજી' ખાવાની આદત પડી ગઈ હતી. સ્વાભાવિક છે કે મહેમાનનવાજી પણ 'લાલભાજી'થી જ કરવામાં આવે. 

છ છ દિવસથી અમે કાચાપાકા કકડા ખાઈખાઈને ઉબકાઈ ગયેલા ને સાતમા દિવસે બપોરે પણ એજ હાલત હતી. આથી જેવા સાંજના ભોજનમાં 'રહા' વગરનાં કકડા પીરસવામાં આવ્યા કે મારી કમાન છટકી ગઈ ને પરિણામે, આ કારસા માટે જવાબદાર યુવા આગેવાનને મેં બરોબરનો આડે હાથે લીધો;"અલ્યા, અમારે તો પેટ છે કે પટારો? શું સમજો છો તમારા મનમાં? અમે પણ માણસ છે કે નહિ? રોજેરોજ અમને 'લાલભાજી' ખવડાવ્યે રાખો છો તે અમને પણ લીલીભાજી ખાવાનો હરખ હોય કે નહિ? આવું ને આવું ખાઈખાઈને અમારા પેટમાં કાણાં પડી જશે કાણાં."

મારા આ પુણ્યપ્રકોપથી આમાં પોતાનો શું દોષ છે એ જાણે સમજાયું જ ન હોય એમ આગેવાન ને યજમાન બેય વિલે મોઢે અમારી સામું તાકી રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...