"છાત્રાલયમાં રહેલો એકેએક વિદ્યાર્થી આપણી મોંઘેરી મૂડી છે આથી એમના સર્વાંગી વિકાસ અને જીવન ઘડતર માટે આપણે સહુએ પ્રતિબદ્ધ થવું જ રહ્યું." સોનગઢ મુકામે આયોજિત મીટીંગમાં આદરણીય પ્રોવિન્સિયલ ફા. ફ્રાન્સિસ પરમારે જયારે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સહુએ એમના એ આહવાનને હોંશે હોંશે વધાવી લીધું.
ઇસુસંઘ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ શહેરથી માંડીને વલસાડ જીલ્લાના ફૂલવાડી જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક શાળાઓ અને છાત્રાલયોનું સંચાલન કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ઇસુસંઘીઓ દ્વારા દીર્ઘદ્રષ્ટિ દાખવીને નક્કર, વ્યવસ્થિત અને એકસમાન કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓના ભણતરને વેગ મળે, એમનામાં વાંચનનો રસ વિકસે, ધાર્મિક અને નૈતિક મૂલ્યો દ્રઢ થાય, દેશદાઝ બળવતર બને એ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન જુદીજુદી પ્રવૃતિઓ જેવી કે પ્રસ્તુત વિષયો પર સેમીનાર, વર્કશોપ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત ગમત અને વિવિધ હરિફાઇઓનુ નિયમિત આયોજન કરવામાં આવે છે.
મારા માટે આનંદની વાત એ છે કે વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટેની આ યાત્રામાં હું પણ સામેલ છુ.