4 ઑક્ટો, 2014

હરિયાણના પીર સિતાબ બાવા.

આણંદ અને ખંભાત રેલ્વેલાઈન ઉપર સાયમા નામનું એક સ્ટેશન આવે છે. એ સ્ટેશન પહેલા એક ફાટક આવે છે ને એની બિલકુલ નજીક હરિયાણ નામનું નાનકડું પણ રળીયામણું ગામડું આવેલું છે. આ ગામની સીમમાં 'પીર સિતાબ બાવા'ની દરગાહ આવેલી છે. આ દરગાહ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે.  આડે દાડેય બાધા, આખડી ને માનતામાં માનનારું લોક પીરને ઘડીભર પોરો નથી દેતું ત્યારે ઉર્સ(મેળો)ના દિવસની તો વાત જ શી કરવી! બે ચાર દિવસ સુધી માનવમહેરામણ સતત ઉમટ્યા જ કરે. જેટલો ઉજળો એનો વર્તમાન છે એથીય વધારે ભવ્ય એનો ભૂતકાળ છે. જેટલી શ્રદ્ધા ને આસ્થા મુસ્લિમોને છે એથીય વિશેષ આસ્થા ને શ્રદ્ધા અન્ય ધર્મના લોકોને પણ છે. 

લોક્વાયકાનુસાર આ દરગાહની નજીક જે લીમડો આવેલો છે એની ઉપરથી દર ગુરુવારે સવારના પહોરમાં સવા મણ સાકરની વર્ષા થયા કરતી. ગામના લોકો એ સાકરને એકઠી કરીને પ્રસાદ તરીકે વહેંચતા. પરંતુ, સમય જતા કેટલાક લેભાગુઓને એમાં પણ વેપાર કરીને કમાણી કરી લેવાની સોનેરી તક  દેખાઈ ને એમણે એનો અમલ પણ શરૂ કરી દીધો. કહેવાની જરૂર નથી કે એમની એ ખોરી દાનતથી પીરનો પુણ્યપ્રકોપ ભડકી ઉઠ્યો ને ત્યારથી સાકરની વર્ષા સદંતર બંધ થઇ ગઈ. આ વાત કરતાં કરતાં ગામલોકોના ચહેરા પર આજે પણ શરમ અને ગ્લાનિ ઉપસી આવતા દેખાય છે. 

અલબત, ફરતા ગાળામાં જો આ દરગાહ પ્રત્યે લોકોમાં શ્રદ્ધા અને આસ્થા ઉતરોત્તર વધતાં જતાં હોય તો એનું મૂળ કારણ છે; પીર દ્વારા સત અને અસતના પારખા કરીને તોળવામાં આવતો તાત્કાલિક ન્યાય. લોકોની માન્યતા અનુસાર ચોરી, ચપાટી, મારધાડ, લૂંટ, ખૂન કે કોઇપણ નાના કે મોટા ગુનામાં જો ગુનેગાર સત્યનો સ્વીકાર ન કરતો હોય અથવા તો કોઈ વ્યક્તિ ઉપર ગુનો કર્યાની  આશંકા હોય તો એવી વ્યક્તિને પીર સમક્ષ લાવવામાં આવે છે.  આ દરગાહનો રખેવાળ એ વ્યક્તિને મુઠી ચોખા ચાવવા માટે આપે છે. જો વ્યક્તિ સાચી અને નિર્દોષ હશે તો એ ચોખા સ્વાભાવિક રીતે ચાવી જાય છે. પરંતુ જો એ વ્યક્તિ દોષી હશે તો જેવી એ ચોખા ચાવવાનું શરૂ કરશે કે તરત જ ચોખાનો રંગ બદલાઈને લોહી જેવો લાલ થઇ જાય છે. આમ, એ વ્યક્તિ ગુનેગાર છે એમ તરત જ સાબિત થઇ જાય છે. 

આ માન્યતામાં સત્ય અને વજૂદ કેટલું છે એ તો એના પારખા કરનારાઓ જ જાણે. પણ, મારી નજરે તો હરિયાળા હરિયાણની સીમમાં આવેલી 'પીર સીતાબ બાવા'ની દરગાહ ઐતિહાસિક વારસો ધરાવતું એક સુંદર અને અદભૂત સ્મારક છે.  

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...