11 ડિસે, 2014

ડાયનાસોર પાણી પી રહ્યા છે.

સવારના બરોબર પોણા સાત વાગ્યે હું દીકરાને શાળામાં મૂકવા માટે અમારી સોસાયટીમાંથી મુખ્ય રસ્તા ભણી આગળ વધી રહ્યો છું. વાતાવરણમાં હજી ઉજાસ પ્રગટવાનો બાકી છે. સૂર્યનારાયણનો રથ આવી રહ્યાની છડી પોકારતા અદભૂત રંગોથી પૂર્વ દિશામાં આકાશ શોભી રહ્યું છે. ઠંડા પવનની એક લહેરખી અમારા માથા પર અફળાઈને પસાર થઇ જાય છે ને આવા બીજા પ્રહારને ખાળવા માટે હું માથા પરનું મફલર સરખું કરી રહ્યો છું ને તથ્યની આનંદ અને આશ્ચર્યથી ભરી ભરી ચીખ મને સંભળાય છે;"આબ્બા, સામે આકાશમાં જુઓ તો ખરા! કેવું મજાનું દ્રશ્ય છે! ડાયનાસોર પાણી પી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ને !  

મારા પ્રતિસાદની અપેક્ષાએ તથ્ય મારી ભણી તાકી રહ્યો છે ને હું આકાશ ભણી નીરખતો નીરખતો વીસ વર્ષ પાછળનું દૃશ્ય નિહાળી રહ્યો છું. અમદાવાદ શહેરના નવરંગપુરા જેવા વૈભવશાળી વિસ્તારમાં આવેલા સ્થાપત્યની કરામત જેવા એક અદભૂત અને સુંદર 'પ્રેમલજ્યોતિ' નામના મકાનના એક નાનકડા રૂમમાં હું બેઠો છું. મારી સામે 'સાઇકોલોજી'માં પારંગત અને અનુભવી સન્યાસી બેઠા છે. એમની પાસે કેટલાક કાગળોનો થોકડો છે ને જેમાં જુદા જુદા ચિત્રો દોરેલા છે. એક પછી એક ચિત્ર બતાવીને  મને એ પૂછી રહ્યા છે;"બોલ જોઈએ દોસ્ત, આમાં તને શું દેખાય છે?"

ચિત્રો જોઇને હું મુંઝવણમાં મુકાઈ જાઉં છું કારણ કે એકેય ચિત્રમાં સ્પષ્ટ આકૃતિ દેખાતી નથી. માત્ર આડુંઅવળું ચિતરામણ કર્યું હોય એમ લાગી રહ્યું છે. "જરા ધ્યાનથી જો. આપણી પાસે ઘણો સમય છે. ઉતાવળ કરવાની જરૂર નથી." સન્યાસી મને સધિયારો આપી રહ્યા હતા. એમની વાત સાચી હતી. મેં ધ્યાનથી જોવાનું શરૂ કર્યું ને થોડી જ વારમાં એ કાગળોમાં અવનવા આકારો ઉપસી આવ્યા. "ઘોડો, હાથી, માછલી, ખેડૂત, શિલ્પ ...... " યાદી લંબાતી ગઈ ને સ્વસ્થ ચિતે મને જે દેખાઈ રહ્યું હતું એના જવાબો મેં ફટાફટ આપવા માંડ્યા.

લગભગ અડધા કલાક સુધી આ કસરત ચાલી. આ સમય દરમિયાન સંન્યાસી શાંતચિતે મને નિહાળી રહ્યા ને મારા જવાબોને ઉત્સુકતાથી સાંભળી રહ્યા હતા. ચિત્રો પૂરો થયા પછી એમણે સહકાર આપવા બદલા મારો આભાર માન્યો ને હું આ કસરતનું પરિણામ શું આવશે એના વિચારો કરતો બહાર આવ્યો. આવનારા દિવસોમાં મારી લેખિત પરીક્ષા લેવામાં આવી અને બે ત્રણ સન્યાસીઓ સાથે મૌખિક ઇન્ટરવ્યુમાંથી પણ પસાર થવું પડ્યું. અઠવાડિયા પછી આ બધી કસરતનું જે પરિણામ આવ્યું એ આ હતું;"અમે તમને આ વર્ષે ઇસુસંઘમાં દાખલ કરી શકીએ એમ નથી. પરંતુ, ચકાસણી માટે એક વર્ષ વધારે આપીએ છીએ."

આ સાંભળીને જેવો હું "પ્રેમલજ્યોતિ"માંથી બહાર આવ્યો કે આકાશમાં મને ચિત્રવિચિત્ર આકારો દેખાવા માંડ્યા. 
"આબ્બા, તમને ડાયનાસોર દેખાઈ રહ્યા છે કે નહિ ?" તથ્યએ મારો હાથ ઝાલીને મને ઢંઢોળી નાખ્યો ને હું એ ડાયનાસોરોને ખોળવા મંડી પડ્યો. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...