12 ડિસે, 2014

જો તો ખરો પેલા સંન્યાસીને.

બારમામાં હતો ને ગામડી ગામને છેવાડે આવેલા ઓવરબ્રિજની ઓથે જીવનમાં પહેલીવાર લપાઈ છુપાઈને મેં "વિલ્સ નેવી કટ"ને વહાલ કર્યું. અલબત, ત્યારે એવી ધારણા કે સમજણ નહોતી જ કે ક્ષણભરનું આ વહાલ મને હંમેશ માટે વળગવાનું છે. કોલેજમાં તો એવું ભાવતું મળ્યું કે મારા એ ચાળાએ ઠેઠ ઇસુસંઘમાં જોડાયા પછીય છાલ ન છોડ્યો.  

ત્રણ વર્ષ પછી 'ફિલોસોફી'ના અભ્યાસ માટે પૂના ગયો ત્યારે મારી એ પ્રેમિકાને પણ હું સાથે લઈને ગયેલો. 'ડી નોબિલી કોલેજ'માં અમને દરેકને અંગત રૂમ ફાળવવામાં આવ્યો હતો. અભ્યાસ અઘરો અને એકાંતભર્યું જીવન જીવવાનું એટલે કોઈકનો તો સહેવાસ જોઈએ જ. આથી દિવસમાં બે વાર હું સિગારેટનો સંગ કરતો. જુવાનીના એ દિવસોમાં 'હર ફીક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા' જેવા ભાવ સાથે એના સહેવાસમાં જીવન રંગીન અને મજાનું લાગતું હતું. આમ કરતાં કરતાં ક્યારે હું એનો આદી થઇ ગયો એનું મને ભાન ને ખબર ન રહી. લોકલાજની બીકે જાહેરમાં પીવાનું હું ટાળતો પણ ગમે તેમ કરીનેય મારા નિત્યક્રમને હું જાળવી રાખતો.

ઘરે પણ બધાને મારી આ આદતની જાણ હતી. પરંતુ, ઘરનાં સભ્યોની આમાન્યા જાળવવા માટે હું ધાબે જઈને મારું આ ક્રિયાકર્મ પૂરું કરી લેતો. એક વેળાએ રજાઓમાં ઘરે આવ્યો હતો ત્યારે સવાર સવારમાં નાસ્તો કર્યા પછી મને સિગારેટ પીવાની બરોબર તલબ લાગી. ખોખું ને લાઈટર લઈને હું પહોંચી ગયો અગાશી ઉપર. ત્યારે અમારું મકાન એક માળનું ને પાડોશીનું મકાન બે માળનું હતું આથી એમની અગાશી ઉપરથી અમારી બધી જ ગતિવિધિઓને આરામથી નિહાળી શકાતી. બાજુમાં બીજે માળે ભાડુઆત રહેતા હતા એમની દરકાર કર્યા વિના મેં શેતરંજી પાથરી, આદતવશ પદમાસન લગાવ્યું ને સૂર્ય નારાયણનાં દર્શન કરતાં કરતાં જ લાઈટરથી સિગારેટને પેટવી. ઊંડો શ્વાસ લઈને પહેલો કસ માર્યો ને સ્ટાઈલથી ધૂમ્રસેરોને હવામાં વહેતી મૂકી. સિગારેટની તીવ્ર વાસથી વાતાવરણ ભરાઈ ગયું ને બીજી જ ક્ષણે મારા રોમેરોમમાં ચેતના ફરી વળી. બીજો કસ ને પછી ત્રીજો કસ માર્યા પછી મારી એ ક્રિયાનું પુનરાવર્તન કરું એ પહેલા તો મને બાળકનાં રુદન સાથે ભળેલા કેટલાક અસ્પષ્ટ શબ્દો સંભળાયા;"જો દીકરા, જો તો ખરો પેલા સંન્યાસીને! પ્રાર્થનામાં કેવા ધ્યાનમગ્ન છે."

ઉપર નજર કરી તો દૃશ્ય નિહાળીને મારી મતિ બહેર મારી ગઈ ને સિગારેટની ધૂમ્રસેરો ગળામાં જ અટકી ગઈ. મારી તરફ આંગળી ચીંધીને માતા પોતાના રડતા બાળકને પૂરી શ્રદ્ધા ને આસ્થાથી છાનો રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. માતાને ગળા સુધી ખાતરી હતી કે ધ્યાનમગ્ન સંન્યાસીને નિહાળીને બાળક ચોક્કસ રડતું બંધ થઇ જશે. 

"હે ભગવાન, આ તે મારું કેવું દુર્ભાગ્ય ને કેવી બદતર ક્ષણ કે જ્યાં હું મારી જાતને કાબૂમાં નથી રાખી શકતો. એક શ્રદ્ધાળુ માતાની સંન્યાસીઓ પ્રત્યેની અપાર આસ્થાને મેં હંમેશ માટે ઠોકરે ચઢાવી દીધી છે. મહેરબાની કરીને આવો દિવસ મને ફરી ક્યારેય ન બતાવીશ." વ્યથિત હૈયે મેં ભગવાનને આજીજી કરવા માંડી.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...