12 જાન્યુ, 2015

જેસુઈટો બન્યા જાસૂસ.

પૂના શહેરનાં નગર રોડ પર આવેલા રામવાડી વિસ્તારમાં એક વિશાળ શૈક્ષણિક સંકુલ આવેલું છે. જેમાં મુખ્યત્વે જ્ઞાનદીપ વિદ્યાલય અને એમાં દુનિયાભરમાંથી થિઓલોજી અને ફિલોસોફીનો અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓનાં રહેઠાણ આવેલાં છે. ઇસુસંઘી વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તેને 'ડી નોબિલી કોલેજ' - ટૂંકમાં ડીએનસી તરીકે ઓળખવામાં આવે છે. અંદાજે સાડા ત્રણસો કરતાં વધારે રૂમ ધરાવતું વિશિષ્ટ અને પરંપરાગત જૂની શૈલીમાં બંધાયેલું ડીએનસી એક વિશાળ અને સુંદર આવાસ છે જેમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી એવી બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. 

શિયાળાનો સમય છે. રાતના લગભગ સાડા નવ વાગે ચોપાસ અપાર શાંતિ ફેલાયેલી છે અને મોટાભાગનાં વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક હોવાને કારણે અભ્યાસમાં તલ્લીન છે ત્યારે 'ધૂમ ધામ ધડામ ધડામ ....' જેવા અવાજોથી વાતાવરણ અચાનક ખળભળી ઉઠે છે. ક્ષણ બે ક્ષણ વિચલિત થઈને પછી વિદ્યાર્થીઓ જાણે કશું જ બન્યું ન હોય એમ માનીને વળી પાછા વાંચનમાં મશગૂલ થઇ જાય છે. બીજા દિવસે એજ સમયે ફરી પાછો એવો જ સંભળાય છે અને એનું પુનરાવર્તન ત્રીજે દિવસે પણ થાય છે. સતત ત્રણ દિવસથી એક જ સમયે એક જ શૈલીમાં સંભળાતા ભયાનક ને ખોફનાક અવાજોથી વિદ્યાર્થીઓને કંઈક અજુગતું ને રહસ્યમય બની રહ્યું હોવાની ગંધ આવી રહી છે. "શાનો આ અવાજ હશે ? કોણ અને શા માટે આ અવાજો કરી રહ્યું હશે?" જેવા અનેક પ્રશ્નોથી વિદ્યાર્થીઓનાં  મન ઘેરાઈ જાય છે પરંતુ, કોઈ સગડ મળતાં નથી.  

ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ વીત્યો. અવાજ બંધ થવાને બદલે વધતો જાય છે ને સગડ ન મળવાને કારણે રહસ્ય વધારે ને વધારે ઘેરાતું જાય છે. સાતમા દિવસે એક તાકીદની બેઠક બોલાવવામાં આવે છે જેમાં જેટલાં માથાં એટલાં જ તર્ક અને વિચારો રજૂ થાય છે. "એસ્બેટોસનાં છાપરાંઓ પર બિલાડી કે પછી વાંદરા જેવું કોઈક પ્રાણી કૂદકાંઓ મારતુ હોય એનો આ અવાજ હોઈ શકે!" એક જણે વાતની શરૂઆત કરી. "અલ્યા, બિલાડાં ને વાંદરાઓને દરરોજ રાતનાં સાડા નવ વાગે જ શૂરાતન ચઢે એવું બની શકે ખરું?" બીજાએ એ વાતનો છેદ ઉડાડતાં ચોક્કસ તર્ક રજૂ કર્યો ને હોલ આખામાં હસાહસ થઇ ગઈ. "કોઈક હૈયાંનો દાઝેલો કર્મચારી પથરા ફેંકતો હોવો જોઈએ" "એ પણ ન બની શકે કારણ, પથ્થર ફેંકવાનો અવાજ આટલો લયબદ્ધ ન હોઈ શકે." "તો પછી ભૂત કે ડાકણ ......" પોતાની જાતને રેશનાલિસ્ટ ગણાવતાં એક ઇસુસંઘીએ કદાચ ભયભીત થઈને આ કારણ રજૂ કર્યું ને આખા હોલમાં સોપો પડી ગયો. કારણ જે હોય તે પણ, એ મીટીંગને અંતે આ કારસો રચનારને રંગે હાથે પકડવા માટે કમર કસવાનું નક્કી થયું.

બીજે દિવસે રાત્રે, લગભગ બસ્સો જણા આવાસની મોકાની જગ્યાઓ પર ગોઠવાઈ જાય છે ને ગાઢ અંધકારમાં અવાજ આવવાની રાહ જુએ છે. અફસોસ, અડધો પોણો કલાક રાહ જોયા પછી કોઈ અવાજ આવતો નથી ને જેવા તેઓ પોતપોતાની રૂમમાં પાછા વાળે છે કે બીજી જ ક્ષણે રાત્રિનાં અંધકારને ચીરીને આવતા લયબદ્ધ પરંતુ ભયાવહ અવાજનાં પડઘાઓ એ વિશાળ આવાસમાં ફેલાઈ જાય છે. "વાંદરો અથવા તો બિલાડી જેવું કોઈ પ્રાણી તો આ નથી જ. કંઈક બોથડ અવાજ ભીંત સાથે ટકરાવાનો આ અવાજ છે અને આમ કરવા પાછળ કોઈક જાણભેદુનું ભેજું કામ કરી રહ્યું છે." ચોકી કરી રહેલા વિદ્યાર્થીઓને હવે કંઈક દિશા મળી રહી છે પરંતુ, સગડ તો નથી જ મળ્યા.

અઠવાડિયા પછી, આ વાત આખા સંકુલમાં ફેલાઈ જાય છે ને અન્ય વિદ્યાર્થીઓ તો હવે ઇસુસંઘીઓની "અલ્યા, તમે તો એસ.જે. એટલે 'સબ જાનનેવાલા', અઠવાડિયું થયું તોયે આ શું થાય છે એની જાણ તમને કેમ નથી થતી?" એમ કહીને મજાક કરવા માંડ્યા છે. કાપો તો લોહી ના નીકળે એવી લાગણી અનુભવતા ઇસુસંઘીઓ રાતના સમયે વળી પાછા એકઠા થાય છે ને પેલા જાણભેદુનાં કારસ્તાનને પકડવા માટે બમણાં જોરથી મચી પડે છે. બરોબર, પંદર દિવસ ટટળાવ્યા પછી અને ખાસ્સી હેરાનગતિ ભોગવ્યા પછી જયારે પેલો જાણભેદુ બારકસ રંગે હાથે ઝડપાઈ જાય છે ત્યારે એને જોઇને બધા જ દંગ રહી જાય છે કારણ, એ તો એમનામાંનો  જ એક હતો. 

વાત એમ હતી કે, એક વિદ્યાર્થી જે ભણવામાં થોડો નબળો હતો ને એમાંય તત્વજ્ઞાનનાં ભારેખમ વિષયોને પચાવવાની જેનામાં ત્રેવડ નહોતી એ પરીક્ષા નજીક આવતી જોઇને બરોબરનો અકળાયો હતો. જયારે એની આ અકળામણ હદ પાર વગરની વધી ગઈ ત્યારે એણે મનોમન નક્કી કરી લીધું કે જો હું ભણી ના શકતો હોઉં તો બીજાઓને પણ ભણવાનો કોઈ અધિકાર નથી. આમ વિચારીને એ રાતનાં સમયે જયારે બધા અભ્યાસમાં મશગૂલ હોય ત્યારે જ ચોક્કસ સમયે રૂમનું બારણું ભીંત સાથે જોરથી લયબદ્ધ રીતે અફળાવતો ને હજી તો એ અવાજનાં પડઘાંઓ સંભળાઈ રહ્યા હોય ત્યાં જ પોતે પણ "અલ્યા, કોણ છે? કોણ છે? આ શાનો અવાજ આવે છે?" એમ બોલતો બોલતો બીજા વિદ્યાર્થીઓ સાથે ભળી  જતો હતો.

ચાલો, એ બહાને જેસુઈટોને જાસૂસીનાં ઘણાંબધાં પાઠ શીખવવામાં એ વિદ્યાર્થી નિમિત બનીને ડીએનસીનાં ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ કે પછી કાળા અક્ષરે કોતરાવતો ગયો.

(ફોટો સૌજન્ય: ડી એન સી ટાઈમ્સ, પુના.)

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...