14 માર્ચ, 2016

બાકરાનું ભોજન, શ્રેષ્ઠ ભોજન.

મધ્યપ્રદેશમાં આવેલો અલીરાજપુર જીલ્લો એટલે ભીલ આદિવાસીઓનો ગઢ. એમની પાસે ખેતીની જમીન ખરી પણ ડુંગરાળ પ્રદેશ હોવાને કારણે ટુકડાઓમાં વહેંચાઇ ગયેલી જેમાં ખપ પૂરતું અનાજ પાકે. જ્ઞાન અને સમજણને અભાવે બહુધા લોકો ચોમાસામાં મકાઈની ખેતી કરે અને બાકીના સમયમાં શાકભાજી કે પછી તુવેર કે અડદ જેવા કઠોળના પાક પકવે.

જમીન રેતાળ અને સૂકી પણ નિષ્ણાતોના અભિપ્રાય પછી જાણવા મળ્યું કે આ જમીનમાં આદુ અને હળદર જેવા રોકડીયા અને મોઘા છોડ સહેલાઇથી ઉગાડી શકાય જેમાં મહેનત ઓછી અને કમાણી વધારે. પણ અભણ આદિવાસીઓને પરંપરાગત ખેતી છોડીને આવા સોનાના ઈંડા જેવા છોડ ઉગાડવા માટે સમજાવવા એ લોઢાના ચણા ચાવવા જેવી અઘરું કામ. 

ખેર, એ પડકારને ઉઠાવી લઈને આજુબાજુના દસ ગામોમાં પાંચ પાંચ ખેડૂતોને અમે સમજાવીને તૈયાર કર્યા. સંસ્થા તરફથી એમને તાલીમ આપવામાં આવી અને મફત બિયારણ પણ આપવામાં આવ્યું. આ આખા કાર્યક્રમની દેખરેખ રાખવાનું કામ અમારે ભાગે આવ્યું આથી ફરજના ભાગરૂપે અમે દરરોજ એક ગામની મુલાકાત લઈએ, ખેતર અને પાકનું નિરીક્ષણ કરીએ અને પછી જે તે ખેડૂતને માર્ગદર્શન આપીએ. 

આવી જ એક મુલાકાત દરમિયાન સવારથી બપોર સુધી ખેતરોમાં રખડી રખડીને યજમાન ખેડૂતના ઘરે પહોંચ્યા ત્યારે બપોરનો લગભગ એક વાગ્યો હતો. ભોજનનો સમય વીતી ચૂક્યો હતો ને અમારા પેટમાં બિલાડા બોલી રહ્યા હતા. ઓસરીમાં જોયું તો એમના બાળકો મસ્તીથી મકાઈના રોટલા અને તુવેરના બાકરા આરોગી રહ્યા હતા. તવા પર શેકાઈ રહેલા ગરમા ગરમ મકાઈના રોટલાની સુગંધ અમારા અંગેઅંગમાં પ્રસરી રહી હતી ને ભોજન માટે અમે તડપી રહ્યા હતા. 

અમારી એ દશાને પામી ના ગયા હોય એમ યજમાને અમને શરમાતા શરમાતા ભોજન માટે આમંત્રણ આપ્યું. અમને તો ભાવતું તું ને વૈદે કહ્યું એટલે મારો સાથીદાર અને હું તરત ઉભા થઈને હાથ ધોવા માટે ગયા. પાછા આવ્યા ત્યારે પાથરણા પથરાઈ ચૂકયા હતા ને ચકચકિત થાળીઓ પણ ગોઠવાઈ ગઈ હતી. બીજી પાંચ જ મિનિટમાં ગરમાગરમ રોટલા પણ પીરસવામાં આવ્યા ને સાથે સાથે ડુંગળી અને લશણીયું મરચું પણ ખરું જ. પીરસતી વખતે યજમાનના હાવભાવ હું નીરખી રહ્યો હતો. ખબર નહિ કેમ પણ એમની આંખોમાં મને શરમ અને ખચકાટનો ભાવ વંચાઈ રહ્યો હતો. કશું સમજાયું નહિ. હવે થોડી વારમાં ગરમાગરમ બાકારા આવશે એમ માનીને અમે ધીરજ ધરીને બેસી રહ્યા. પાંચેક મિનિટ વીતી પણ શાક ન આવ્યું એટલે મારા સાથીદારે હળવેથી સ્વાભાવિક પૃચ્છા કરી જોઈ. 

“તમે પણ બાકરા ખાશો ?” યજમાનના ચહેરા પરનો શરમ અને ખચકાટનો ભાવ ઓચિંતો દૂર થઇ ગયો ને આશ્ચર્યથી એમણે અમને પૂછ્યું. 

“હા વળી, મને તો બાકરા ખૂબ ભાવે છે.” મેં હર્ષથી જવાબ આપ્યો. 

મારો એ જવાબ સાંભળતાવેંત યજમાન ખુશખુશાલ થઇ ગયા ને અંદર જઈને આખુ તપેલું ઊંચકીને લઇ આવ્યા. હવે જે ભાવથી તેઓ અમને બાકરા પીરસી રહ્યા હતા એ પરથી મને તરત જ સમજાઈ ગયું કે થોડી વાર પહેલા કેમ એમને ખચકાટ થઇ રહ્યો હતો. 

કહેવાની જરૂર નથી કે ભાવથી પીરસવામાં આવેલું ગરમાગરમ મકાઈના રોટલા અને બાકરાનું એ ખાણું મારા જીવનનું સૌથી શ્રેષ્ઠ ભોજન હતું. 













ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...