22 એપ્રિલ, 2016

એક સાંજ ફતેસાગરને કિનારે.

ઉદયપુર શહેરની દક્ષિણ દિશામાં આગળ વધતા હવે ટ્રાફિકનું જોર ઓસરવા માંડ્યું હતું. શાંતિ ને નીરવતાનો અહેસાસ કરાવતી કોઈક અલૌકિક જગ્યા તરફ અમે આગળ વધી રહ્યા હોય એવું જણાતું હતું. દિશાસૂચક બોર્ડને અનુસરીને છેવટે મુખ્ય રસ્તો છોડીને જેવા અમે જમણી તરફના વળાંકમાં આગળ વધ્યા કે તરત આગળનું અદભૂત દૃશ્ય જોઇને અમે અભિભૂત થઇ ગયા.

રેવાળ ચાલે ચાલતી રીટ્ઝનો કમાંડ ઘડી વાર માટે છોડીને મેં કેનનને હાથમાં લીધો અને એક પછી એક ધડાધડ ફોટા લેવા માંડ્યા. અરવલ્લીની પર્વતમાળાની બરોબર વચ્ચમાં રચવામાં આવેલા એક અદભૂત સરોવરને અમે ઢોળાવ ઉપરથી જોઈ રહ્યા હતા. પાશ્વભૂમિકામાં સાધુની જેમ ધૂણી ધખાવીને બેઠેલા મૌન પર્વતો હતા ને એમના ખોળામાં નજર પહોંચે ત્યાં સુધી સરોવરના પાણી ફેલાયેલા હતા. આ સરોવરની બરોબર વચ્ચમાં બગીચો હતો જેમાં ‘બોટલ પામ’ આમતેમ ઝૂલી રહ્યા હતા જેના પ્રતિબિંબ દૃશ્યને વધારે રોચક બનાવી રહ્યા હતા. આ એજ ઐતિહાસિક સરોવર હતું જે ઈ.સ. ૧૬૭૮મા મહારાણા જયસીંગે બંધાવ્યું હતું ને ત્યાર પછી બસો વર્ષો પછી મહારાણા ફતેસીંગે એની મરામત કરી જરૂરી ફેરફારો કર્યા હતા જેમના નામ પરથી આ સરોવર ઓળખાતું હતું.

હજી તો આ શરૂઆત હતી. પરમ આનંદની ક્ષણોને પામવા માટે હજી ઘણી વાર હતી આથી થોડે આગળ વધીને અમે ‘મોટી મગરી – મહારાણા પ્રતાપનું સમારક’ આગળ રીટ્ઝને પાર્ક કરી દીધી ને પછી આગળની સફર પગપાળા આરંભી. ત્યાંથી અમે ઢોળાવ ઉપર આવેલા બગીચા ઉપર ધીમી ગતિએ ચાલવા માંડ્યું. આ સમય દરમિયાન જે ફોટોગ્રાફ્સ મળ્યા એ અદભૂત હતા. ધીમે ધીમે અમને આ સ્થળ પ્રત્યે લગાવ થઇ રહ્યો હતો. ઢોળાવ પરના બગીચા પરથી નીચે આવતાવેંત અમને એક ચિરપરિચિત દૃશ્ય જોવા મળ્યું. સર્પાકાર રસ્તાની આજુબાજુ ભેળપુરી, પાણીપુરી, પકોડા, પફ, બર્ગર ને ચાઉં ચાઉંની રેંકડીઓ પર અભૂતપૂર્વ ભીડ જામી હતી.

એ ભીડને એક સલામ આપીને અમે આગળ વધ્યા ને બોટીંગ દ્વારા સરોવરની વચ્ચમાં આવેલા નહેરુ પાર્કમાં જવાનું નક્કી કર્યું. એકદમ યોગ્ય સમયે અમે નહેરુ પાર્ક પહોંચી ગયા. અસ્ત થતા સૂર્યને વધાવવા માટે અમે પૂરી રીતે તૈયાર હતા. થોડી જ ક્ષણો પછી પર્વતો પાછળ અદૃશ્ય થતા સૂર્યને અમે નિહાળી રહ્યા. આકાશમાં હવે લાલાશ પ્રસરી ગઈ હતી ને અમારા ચહેરા પર પ્રસન્નતા. પ્રકૃતિની પરમલીલાની ઉજવણીની દોડમાં જાણે પાછળ રહેવા ન માંગતા હોય એમ પવને પણ હવે પોતાની ગતિ સહેજ વધારી દીધી હતી, અત્યાર સુધી શાંત રહેલા સરોવરના પાણી હવે ઘૂઘવાટા સાથે હિલોળા લઇ રહ્યા હતા, પક્ષીઓ ઘરે પાછા ફરી રહ્યા હતા ને એમની હાજરીને લીધે અત્યારસુધી શાંત રહેલા વૃક્ષો હવે બોલકા બની ગયા હતા.

પરમ આનંદ અને પરમ તૃપ્તિની એ ક્ષણોમાં અમને એક જ વિચાર આવતો હતો કે કાશ, પેલા પર્વતોની જેમ અમે પણ સમાધિ લગાવી શકતા હોત તો!

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...