11 મે, 2016

તું પ્રકૃતિનું સંતાન છે.

દોસ્ત તથ્ય, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. આ વેકેશનને તું મન ભરીને માણી રહ્યો છું એ જોઇને ખૂબ આનંદ થાય છે. તારા મોટા ભાગના સહાધ્યાયીઓ અત્યારે કોચિંગ કલાસીસમાં ગીત, સંગીત, ડાન્સ, કરાટે, સ્વીમીંગ અને આર્ટ અને ક્રાફ્ટ શીખી રહ્યા છે ત્યારે તેં ઘરે રહેવાનું પસંદ કર્યું છે એનો અમને કોઈ જ રંજ નથી.

સવારમાં ઉઠીને નાસ્તો કર્યા પછી ગુજરાતીમાં સમાચાર વાંચવાની જે મથામણ કરે છે એ વખાણવા લાયક છે. વાંચતો રહેજે દીકરા વાંચેલું ક્યારેય એળે નહિ જાય. સખત તાપ અને ગરમીને કારણે તારું આમલી પીપળી રમવાનું બંધ થઇ ગયું છે અને સાઈકલીગ માટે તને સમય મળતો નથી. કશો વાંધો નહિ એને બદલે મમ્મીપપ્પા સાથે બેસીને ‘સફારી’માંથી અવનવી વાતો સાંભળે છે, ટીવી ઉપર ટ્રાવેલ એક્સપી અને આઈપીએલ જુએ છે, સ્માર્ટ ફોન ઉપર સાયન્સ એપ જોઇને અવનવા રમકડાંઓ બનાવવાનું શીખે છે ને ક્યારેક વળી પા, પીકુ અને પીકે જેવી ફિલ્મો જુએ છે એ યોગ્ય જ છે.


યાદ રહે, ગણિતમાં તું એક્કો છે. વિજ્ઞાનમાં તું જિજ્ઞાસુ છે, ભૂગોળ તને ભાવતી વાત છે, ઈતિહાસ વાગોળવો તને ગમે છે અને ભાષાનો તો તું ભાવક છે. ગીત, સંગીત અને ડાન્સ તારી રગે રગમાં વહે છે ને સમય પાકશે ત્યારે એમાં પણ તું પારંગત થઈશ એમાં કોઈ શંકા નથી. સ્વીમીંગ અને કરાટે શીખવા માટે હજી તારી પાસે ખૂબ સમય છે.

પ્રકૃતિ યાત્રામાં ભાગ લેનારા ભાગ્યશાળીઓમાં તું પણ હતો. જે રસ અને ઉત્સાહથી એ યાત્રામાં તે ભાગ લીધો એ અનન્ય હતું. તું પ્રકૃતિનું સંતાન છે. તારામાં રહેલી નૈસર્ગિક પ્રતિભાને ધીમે ધીમે વિકસવા દેજે. જીવનમાં શૈશવ જેવી મજાની બીજી કોઈ અવસ્થા નથી માટે મન ધરાય ત્યાં સુધી રમતો રહેજે, કૂદતો રહેજે ને ઉછળતો રહેજે.

માત્ર તું એકલો જ પ્રકૃતિનું સંતાન છે એમ માનીને હરખપદુડા થઇ જવાની પણ જરૂર નથી. તારી જેમ બધા જ બાળકો પ્રકૃતિના સંતાનો છે. તું જેમ હાઈપર એક્ટીવ છે એમ આજની આખી નવી પેઢી પણ હાઈપર એક્ટીવ છે જ. તું જેમ પ્રતિભાશાળી છે એમ બધા જ બાળકો પણ પ્રતિભાશાળી હોય જ છે. 

તો પછી તારામાં એમનામાં તફાવત કયો? વેલ, તફાવત હોય તો માત્ર એ છે કે તું અત્યારે વેકેશનને માણી રહ્યો છે તારા અમૂલ્ય બાળપણની પળે પળને માણી રહ્યો છે પણ બધા બાળકો તારી જેમ ભાગ્યશાળી હોય છે એમ માની લેવાની જરૂર નથી. 

મનોવિજ્ઞાનના જાણકારો ભારપૂર્વક કહે છે કે દસ વર્ષની ઉમર સુધી બાળકોને માત્ર રમવા જ દેવા જોઈએ. બાળપણ એ સમગ્ર જીવનનો પાયો છે અને એટલે જ બાળકને આ ઉમરમાં જે અનુભવો થાય છે એને આધારે એનું બાકીનું જીવન અને ખાસ કરીને એનું વ્યક્તિત્વ ઘડાય છે. જો બાળકને બાળપણનો અનુભવ કરવા દેવો હોય તો પછી એને માટે ખાસ તાલીમ, ટ્યુશન કે પછી કોચીંગની બિલકુલ જરૂર નથી. બાળકને દસ વર્ષ સુધી માત્ર નિસર્ગને ખોળે રમતો મૂકી દો, એને ગમે એવી પ્રવૃત્તિ કરવા દો અને એ જ એની સાચી તાલીમ છે. એનામાં રહેલી નૈસર્ગિક પ્રતિભાઓ આપોઆપ બહાર આવશે. 

ટ્યુશન અને કોચીંગ એ બાળકોની જરૂરિયાત નથી બલ્કે એમના માવતરોની જરૂરિયાત છે. બાળક પહેલો નંબર લાવે કે નહિ, સંગીતમાં, નૃત્યમાં, સ્વીમીંગમાં કે કરાટેમાં પારંગત થાય કે નહિ એનાથી એને કોઈ ફેર નથી પડતો. જો ફેર પડતો હોય તો એના માવતરના જીવનમાં કારણ, સમાજમાં એમની નામના અને પ્રતિષ્ઠા વધી જાય છે. પણ બીજી બાજુ, નામના અને પ્રતિષ્ઠા મેળવવાની લાયમાં ને લાયમાં બાળકનું બાળપણ છીનવાઈ જાય છે જે ફરી ક્યારેય પાછું આવવાનું નથી. 

બાળકોને બાળકો જ રહેવા દઈએ તો કેવું સારું!
એમને હરવા, ફરવા ને રમવા દઈએ તો કેવું સારું!

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...