7 ફેબ્રુ, 2015

તળાવને કિનારે લટાર.

આજે સવારના ફૂલગુલાબી અને ખુશનુમા વાતાવરણમાં ચાલવા માટે અમે પાધરીયન તળાવનો કિનારો પસંદ કર્યો.  આ તળાવ ભૌગોલિક રીતે બે વિભાગમાં વહેંચાયેલું છે. સામેના જમણા કાંઠાનું દૃશ્ય ખૂબ જ સુંદર અને રળિયામણું હતું. તળવાને સમાંતર જતો પાકો રસ્તો, પાકા મકાનોની હારમાળા ને તળાવના પાણીને લળી લળીને નમન કરતાં નારિયેળીનાં વૃક્ષો જોઇને આંખો ઠરતી હતી. સામેના કાંઠેથી આવતા પવનને આવકારીને અમે ડાબા કાંઠે ચાલવાનું શરૂ કર્યું ને મન આનંદની લાગણીથી ઉભરાઈ ઉઠ્યું;"કેવો મજાનો પાકો રસ્તો છે ને વળી આ રસ્તાને અડીને આવેલો કાંઠો પણ કેટલો સુંદર છે." એટલામાં એક પ્લાસ્ટીકની કોથળી ઉડીને આવીને મારા પગને વીંટળાઈ વળી. માથું ઉંચકીને કોથળી જે દિશા ભણી આવી હતી એ દિશા ભણી જોયું તો મન શરમ ને ઉદ્વેગથી ઉભરાઈ આવ્યું;"આ સુંદર તળાવના કિનારાની શું દશા કરી મેલી છે. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં દેખાય છે મને કચરો."

નાકનું ટેરવું ઉંચું રાખીને અમે આગળ વધ્યા ને સામે તળાવના પાણીમાં અમને મળ્યું જળકૂકડીઓનું ટોળું. જેવી મારી નજર એમની ભણી પડી એજ સમયે એક કૂક્ડીએ એવી રીતે ઉંડી ડૂબકી મારી કે જાણે મને કહેતી ના હોય;"તળાવની આ અવદશાની જેટલી ચિંતા તમને થાય છે એટલી જ ચિંતા અમને પણ થાય છે. ખરેખર તો અમારાથી આ જોયું નથી જતું એટલે જ અમે અમારી નજરને આઘી રાખવા વારંવાર ડૂબકી મારી લઈએ છીએ." જાણે એ વાત સાચી હોય એમ બીજી કૂકડીઓ પણ વારાફરતી અવારનવાર ડૂબકીઓ મારતી રહી. 

આ વાતને વિચારતા વિચારતા હું ચાલતો રહ્યો પણ ખાસ્સી મથામણ પછી જળકૂકડીઓની વાત સાથે સહમત ન થઇ શક્યો કારણ, મારો અંતરાત્મા મને કંઈક જુદું જ કહી રહ્યો હતો. છેવટે મારી એ વ્યથાને મેં જળકૂકડીઓ સામે ઠાલવી જ દીધી;"જુઓ તમતમારે ડૂબકીઓ માર્યે રાખો કારણ, એ તમારી વૃતિ છે પણ હું એની સાથે ક્યારેય સહમત નહિ થાઉં કારણ, મારા માટે ડૂબકી લગાવવી એટલે પરિસ્થતિથી ભાગવું અને ભાગવાનું મને પસંદ નથી. એમ કરવાને બદલે હું આ પરિસ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન આવે એવા પ્રયત્નો કરીશ અને એમ કરવા માટેના નક્કર અને મજબૂત કારણોની રજૂઆત મારા લોકો સમક્ષ કરતો રહીશ."

એક, અમારું એ સદભાગ્ય છે કે પાણીથી છલોછલ છલકાતું આ તળાવ અમને મળ્યું છે. કોન્ક્રીટના મકાનોના જંગલની વચ્ચે તળાવ જેવા કુદરતી સંસાધનનું હોવું એ આ સૃષ્ટિના ઘડનારા તરફથી અમને મળેલી અનન્ય ને અમૂલ્ય ભેટ છે. બે, આ તળાવને કિનારે જ અમારી પાધરીયન સંસ્કૃતિનો વિકાસ થયો છે. હા, એક વેળાએ નિર્જન, અવાવરું અને ખુલ્લા પાધર જેવા આ વિસ્તારમાં અમારા વડવાઓએ આજુબાજુનાં ગામડાઓમાંથી આવીને વસવાટ શરૂ કર્યો હતો. ત્રણ, આજ તળાવને કાંઠે કાંઠેથી એવી જગ્યાએ પહોંચાય છે કે જ્યાં અમારા વડવાઓ ચિરનિંદ્રામાં પોઢી ગયેલા છે. ટૂંકમાં આ પાધરીયન તળાવ અમને મળેલો એક અદભૂત વારસો છે ને આથી આ વારસાનું જતન અને સંવર્ધન થાય એ જોવાની અમારા સૌની સહિયારી ફરજ અને જવાબદારી છે. 

આમ જો આ તળાવની કાયાપલટ માટે પ્રયત્નો કરવામાં આવે અને ખાસ કરીને આ જગ્યાને સાફસૂથરી રાખવામાં આવે, લીમડો અને ગુલમહોર જેવા વૃક્ષો રોપવામાં આવે અને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવે તો ખૂબ ટૂંકા ગાળામાં આ જગ્યા પાધરીયાની એક ઉત્તમ અને શ્રેષ્ઠ જગ્યા બની શકે એમ છે. 

જળકૂકડીઓ જાણે આ વાતને સારી રીતે સમજી ગઈ હોય અને આ વાતને સમર્થન આપતી હોય એમ એમણે ઘડીક ડૂબકીઓ મારવાનું છોડીને ડોકું હલાવતાં હલાવતાં તરવાનું ચાલુ રાખ્યું. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...