10 માર્ચ, 2015

પ્રભુની રાહ, એજ મારી ચાહ.

આદરણીય સી.પિંકલ (પ્રતિક્ષા) રાઠોડ એફ.સી. મૂળ પાધરીયાના છે. સાલસ અને મૃદુ સ્વભાવ ધરાવતા આ સાધ્વી એમના વિચારોમાં સ્પષ્ટ અને પરિપક્વ છે. એ ઉપરાંત, આ વિચારોને વ્યકત કરવામાં એમની નીડરતા અને નિર્ભયતા છતા થયા વિના નથી રહેતા. સાધ્વી તરીકે એમનું જીવન નોખું અને પડકારરૂપ છે આથી એમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અહીં વ્યકત કરી રહ્યો છું.

તમારો જન્મ ક્યાં થયો હતો?
મારો જન્મ નવજીવન કોલોની, આણંદ ખાતે થયો હતો અને યુવાન વય સુધીનો મારો ઉછેર પણ અહીં જ થયો હતો.

તમે સંન્યસ્ત જીવન શા માટે અને કેવી રીતે પસંદ કર્યું?
લગભગ ત્રીજા ધોરણમાં હું ભણતી હતી ત્યારે આદરણીય સી. ઝેવિયર નિયમિતરૂપે બાળકોની મુલાકાત લેતા હતા અને અમને સહુને પૂછતા કે દીકરા, મોટા થઈને તમે શું બનવા માંગો છો? ત્યારે મેં બાળસહજ નિર્દોષતાથી જવાબ આપેલો કે મારે સિસ્ટર બનવું છે. સિસ્ટરે ખડખડાટ હાસ્ય સાથે જવાબ આપેલો કે બેટા, તું માત્ર સિસ્ટર નહિ પણ મહાન સિસ્ટર બનજે.  વર્ષો વીતતા ગયા ને જેમ જેમ સમજણ આવતી ગઈ એમ એમ મારી સાધ્વી બનવાની ઝંખના ઉતરોત્તર વધતી જ ગઈ. કિશોરાવસ્થામાં મેં ઘણી બધી શિબિરોમાં ભાગ લીધો અને મને ખરેખર પ્રતિતી થઇ કે સાધ્વી બનવા માટે જ પ્રભુએ મને પસંદ કરી છે. આમ છતાં, મેં મારા માબાપની સલાહ અનુસાર ભણવાનું ચાલુ રાખ્યું અને સ્નાતક સુધીનું શિક્ષણ પૂરું કર્યા પછી "ડોટર્સ ઓફ ધ ક્રોસ" નામના મંડળમાં જોડાવાનો નિર્ણય કર્યો.

તમારા ભણતર વિષે માહિતી આપશો?
વિમલ મિરીયમ હાઈસ્કૂલમાંથી એસએસસી પાસ કર્યા પછી મેં અમદાવાદ લોયોલામાંથી એચએસસી પાસ કર્યું ને ત્યાર પછી વિદ્યાનગરમાં બીએસસીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. 

સાધ્વી બનવાનો નિર્ણય લીધા પછી તમારા માબાપની પ્રતિક્રિયા કેવી હતી?
નેવુંના દાયકામાં કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકેની ઝળહળતી કારકિર્દીને ઠુકરાવીને સાધ્વી બનવાનો નિર્ણય લેવો એ વાત કયા માબાપ સ્વીકારી શકે ને પચાવી શકે? મારા માબાપને પણ મારો આ નિર્ણય ઘણો જ કઠ્યો હશે અને એમને ઘણું દુઃખ પણ પહોંચ્યું હશે આમ છતાં, મારા માબાપ હેરીશભાઇ અને પારૂલબેને મારા નિર્ણયને વધાવ્યો ને મને આગળ વધવાની પરવાનગી આપી. 

અત્યારે તમે ક્યાં છો અને શું કરો છો?
હું અત્યારે મુંબઈમાં મલબાર હિલ વિસ્તારમાં આવેલી સેંટ એલિઝાબેથ હોસ્પિટલમાં પેથોલોજી લેબોરેટરી અને આઈ.ટી. વિભાગના વડા તરીકે સેવા આપી રહી છું. 

પરંતુ તમે તો પ્રોગ્રામર છો તો પછી આ લેબોરેટરીની જવાબદારી તમારે ભાગે કેવી રીતે આવી?
હા, એ અમારા મંડળની જરૂરિયાત હતી અને એ જવાબદારી મેં હોંશે હોંશે સ્વીકારી લીધી. ત્યાં ગયા પછી મેં ડીપ્લોમા ઇન મેડીકલ લેબોરેટરી ટેકનીશીયનનો અભ્યાસ કર્યો ને સાથે સાથે એમ.સી.એ. પણ પૂરું કર્યું.

સંન્યસ્ત જીવન તમને કેવું લાગે છે?
આ જીવન જીવવાની મને ખૂબ મજા આવી રહી છે.

પણ, મેં તો સાંભળ્યું છે કે તમારે ત્યાં તો સો સાસુઓ હોય છે, તો પછી એમાં મજા કેવી રીતે આવે?
(સિસ્ટર ખડખડાટ હસવા માંડે છે ને પછી મારી ભણી આંગળી ચીંધીને મને કહે છે કે એ તો તમને ખબર જ છે.) સાચું કહું તો આ વાત અતિશયોક્તિથી ભરેલી છે. જેમ જીવનના અન્ય ક્ષેત્રોમાં જેવી તકલીફ પડે છે એવી તકલીફો અને મુશ્કેલીઓ અમે પણ અનુભવીએ છીએ. આમ છતાં, હકારાત્મક અભિગમ હોય તો સંન્યસ્ત જીવનમાં મુશ્કેલીઓ હોવા છતાં જીવન જીવવાની ખૂબ મજા આવે છે. હા, મુંબઈ સિવાય ઝંખવાવ નામના આદિવાસી વિસ્તારમાં મેં લગભગ સાત વર્ષ કામ કર્યું છે અને હોસ્ટેલના ઇનચાર્જ તરીકેનું કામ અઘરું હોવા છતાં મેં સરળતાથી નિભાવ્યું છે. 

તમારા જીવનમાં તમને કોની કોની મદદ અને ટેકો મળી રહ્યા છે? 
મારા ઘરના અને મંડળના કુટુંબીજનો અને મારા મિત્રોની હું ખાસ ઋણી છું. ટેકનોલોજીને કારણે હું એમના સતત સંપર્કમાં રહી શકું છું. મારા જીવનની દરેક ક્ષણોમાં તેઓ હંમેશાં મારી સાથે રહે છે. 

એક  સ્ત્રી તરીકે ધર્મસભાના માળખામાં અત્યાર સુધી તમારો કેવો અનુભવ રહ્યો છે?
ખૂબ સારો રહ્યો છે આમ છતાં, એક વાત હું જરૂરથી કહીશ કે ધર્મસભામાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્થાનિક કક્ષાએ ધર્મભગિનીઓનો મત લેવામાં આવશે તો મને ચોક્કસ આનંદ થશે.

ગ્લોબલ પાધરીયા વિષે તમારું શું માનવું છે?
સૌથી પહેલા તો હું તમારા બધાનો ખાસ ખાસ આભાર માનીશ કારણ કે મારા જેવી વ્યક્તિઓને ફેસબુક ઉપરનું આ ગ્રુપ "જાણે વતનમાં ન પહોચી ગયા હોઈએ" એવી લાગણી મહેસૂસ કરાવે છે. ગ્રુપની લગભગ બધી જ સામગ્રી હું નિયમિત વાંચું છું ને ક્યારેક ક્યારેક કોમેન્ટ્સ પણ કરું છું. હા, એ વાત અલગ છે કે કેટલીક મર્યાદાઓને લીધે હું સક્રિયપણે ચર્ચાઓમાં ભાગ લેવાનું ટાળું છું. બીજી એક વાત, આ ગ્રુપમાં બહેનોની ભાગીદારી ખૂબ ઓછી જણાય છે. 

અમારા માટે કોઈ ખાસ સંદેશો પાઠવવો છે?
આ ગ્રુપના યુવા મિત્રોની વિચારશક્તિથી હું ખાસ્સી પ્રભાવિત છું. સાથે સાથે આ મિત્રો માત્ર વાતો જ નથી કરી જાણતા પરંતુ એ વાતો અને વિચારોનો  વ્યવહારમાં પણ અમલ કરે છે એ ગૌરવ લેવા જેવી વાત છે. આશા રાખું કે હજી વધારે સક્રિય ભાગીદારી વધે અને આપણી વચ્ચેની એકતા અને અખંડિતતા હંમેશાં ટકી રહે અને છેલ્લે આગામી કાર્યક્રમો સફળ રહે એવી દિલથી શુભેચ્છાઓ !

તમારો પણ ખૂબ ખૂબ આભાર અને પ્રભુએ ચીંધેલા રાહ પર એમની ઈચ્છા મુજબ આગળ વધતા રહો એવી શુભેચ્છાઓ!

(શિર્ષક સૌજન્ય: શ્રીમતિ પારૂલબેન રાઠોડ) 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...