13 એપ્રિલ, 2015

ઇસુસંઘીઓ શંકાના દાયરામાં.

બપોરે જમવા માટે ઘરે આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે ઘરમાં ચોરી થઇ હતી. કોઈના પણ ઘરમાં ચોરી થાય એ નવાઈ અને આઘાતની વાત ગણાય. જયારે અહીં તો ઇસુસંઘીઓના ઘરે ચોરી થઇ હતી અને એ પણ સંભવતઃ ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના નોંધાઈ હતી એટલે અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. પૂના શહેરના રામવાડી વિસ્તારમાં આવેલું આ રહેઠાણ "ડી નોબિલી કોલેજ" તરીકે ઓળખાતું હતું જેમાં ભારતભરમાંથી આવેલા ત્રણસો કરતાં વધારે વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને અન્ય વ્યક્તિઓ રહેતા હતા. ભણવા આવનાર બધા જ વિદ્યાર્થીઓ ઇસુસંઘી સન્યાસીઓ હતા એટલે ચોરી થવાની સંભાવના લગભગ નહિવત હતી આથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તો પોતાના રૂમને ભાગ્યે જ તાળું મારવાની તસ્દી લેતા હતા. પણ, આજે એમનો એ ભ્રમ ભાગી ગયો. ચોર સહેલાઈથી ઘરમાં પ્રવેશી ગયો હતો અને સવાર સવારમાં જ એક પ્રાધ્યાપકની રૂમમાંથી મોટી રોકડની ચોરી કરીને રફુચક્કર થઇ ગયો હતો. આમ, તો એ પ્રાધ્યાપકની રૂમમાં આટલી રોકડ રકમ એકસાથે ક્યારેય જોવા ન મળે પણ, એમના કમનસીબે કોઈ ત્રાહિત વ્યક્તિએ જરૂરીયાતમંદ વ્યક્તિને પહોંચાડવા માટે આ રોકડ આગલા દિવસે સાંજે આપી હતી જે એમણે પોતાના ટેબલના ખાનામાં નિશ્ચિત થઈને મૂકી હતી. પરંતુ, સવારે નાસ્તો કરીને રૂમમાં પાછા આવ્યા પછી એમને ખબર પડી કે કોઈ કળાધર કળા કરી ગયો હતો. 

રકમ મોટી હતી અને એને જવા દીધી હોત તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોત. ડોશી મરી જાય એનો વાંધો નહોતો પણ જમ જો ઘર ભાળી જાય તો કાયમની મુસીબત આવે એમ હતું આથી ન છૂટકે પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી. સાંજના ચારેક વાગ્યે પોલીસ કુતરા સાથે આવી. પહેલા માળે આવેલી પ્રાધ્યાપકની રૂમમાં આ કુતરાને લઇ જવામાં આવ્યો. ત્યાંથી ભસતાં ભસતાં કુતરો વરંડામાંથી પસાર થયો ને છેવટે જ્યાં એકસાથે આવેલી રૂમો પૂરી થતી હતી ત્યાં આવીને અટકી ગયો. આ ઉપરથી પોલીસે કેટલીક ધારણાઓ બાંધી. એક, ચોર જાણભેદુ હતો કારણ ક્યારે ચોરી કરવી એ એને ખબર હતી. બીજી ધારણામાં બે વિકલ્પો હતા; એક, ચોર કોઈ બહારની વ્યક્તિ હતી જેણે ત્યાંથી જમીન ઉપર નીચે ભૂચકો માર્યો હતો. બીજો અર્થ એવો થાય કે ચોર ઘરનો જ હતો અને એ આજુબાજુમાં આવેલી રૂમમાં જ ક્યાંક સંતાયો હતો. સ્વાભાવિક છે કે પોલીસે પહેલા વિકલ્પને પ્રાધાન્ય આપ્યું ને ઘરમાં કામ કરી રહેલા બધા જ સ્ટાફ અને કામદારોને અટકમાં લીધા. શંકાને આધારે કડક પૂછપરછ કરી અને જરૂર જણાઈ ત્યાં ધોલધપાટ પણ કરી જોઈ. પણ, સફળતા મળી નહિ. 

કુતરાએ આપેલા સગડ મુજબ હવે પોલીસને નાછૂટકે વિદ્યાર્થીઓ અને એમની રૂમની સઘન તપાસ કરવાની જરૂર જણાઈ. પોલીસે જયારે ઉપરી પાસે રૂમની તપાસ કરવાની પરવાનગી માંગી ત્યારે ઉહાપોહ મચી ગયો કારણ કે તેઓ વિદ્યાર્થીઓ કે જેઓ સંન્યાસી હતા એમની રૂમમાં તપાસ કરવાની રજા માંગી રહ્યા હતા. શું સંન્યાસીઓ ચોરી કરે ખરા? આત્મનિરીક્ષણ કર્યા પછી અમારા ઉપરીને લાગ્યું કે આ વાત શક્ય હતી. કોઈ નબળી પળે અમારામાંથી જ કોઈએ ચોરી કરી હોય એ શક્ય હતું અને જો એ વાત સાચી નીકળે તો એનો ઉપાય કરવો પણ જરૂરી હતો. આથી અમારા ઉપરીએ રૂમમાં તપાસ કરવાની રજા આપી. જેવી આ વાત વહેતી થઇ કે અમારામાંથી ઘણા આ પગલાને બિનજરૂરી અને અયોગ્ય ગણવા માંડયા કારણ અમને બાંધી મુઠ્ઠી ખુલ્લી થઇ જવાનો ડર લાગતો હતો. રૂમની તપાસ દરમિયાન રોકડ નીકળે કે નીકળે એ વાત તો બાજુ પર રહી પણ પોતાની આબરૂ પર બટ્ટો લાગી જાય એવું કંઈક નીકળી આવે તો! 

બીજા દિવસે સવારે કવાયત શરુ થઇ ને પોલીસે પોતાની ફરજના ભાગરૂપે દરેકની રૂમનો ખૂણેખૂણો ફંફોસવાનું શરૂ કર્યું. પહેલી રૂમમાં પ્રવેશીને ઈન્સ્પેક્ટરે રૂમમાં રહેતા વિદ્યાર્થીની આકરી પૂછપરછ શરુ કરી અને અન્ય સ્ટાફે રૂમમાં રહેલી વસ્તુઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી જે રીતે નીડરતાથી અને આત્મવિશ્વાસથી જવાબ આપતો હતો એ સાંભળીને ઇન્સ્પેકટર આભા થઇ ગયા. રૂમમાંથી નીકળ્યા માત્ર એક ખાટલો, ટેબલ, ખુરશી અને એક લાકડાનું કબાટ જેમાં પુસ્તકો અને કપડાં ઠાંસીઠાંસીને ભરેલા હતા. બીજા અને ત્રીજા રૂમમાં પણ એજ હાલત થઇ. વળી, વિદ્યાર્થીઓ જે રીતે જવાબ આપતા હતા એ સાંભળીને શંકાનું કોઈ વાજબી કારણ નહોતું મળતું. આમ, માત્ર ત્રણ જ રૂમની તપાસ કર્યા પછી પોલીસને લાગ્યું કે અહીં દાળ ગળે એમ નથી. વળી, બધી રૂમમાંથી જો એકસરખી જ વસ્તુઓ નીકળવાની હોય તો બધી રૂમની તપાસ કરવાનું યોગ્ય પણ નહોતું. કહેવાની જરૂર નથી કે એમણે તપાસ ત્યાં પૂરી થયેલી જાહેર કરી દીધી અને શંકા કરવા બદલ હાજર રહેલા સૌની માફી પણ માંગી.

તપાસ પૂરી થયાની જાહેરાત સાંભળીને કેટલાક વિદ્યાર્થીઓએ રાહતનો દમ લીધો. જો ચોરી ન કરી હોય તો પછી ગભરાવાનું કે ચિંતા કરવાનું કોઈ કારણ હોઈ શકે ખરું! જો એમના રૂમમાં પણ તપાસ કરવામાં આવી હોત તો કયો મોટો દલ્લો હાથ લાગ્યો હોત એ આખો વિષય કલ્પનાનો છે. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...