ઊંચા ડુંગરની ટોચ પર વસેલું ઝંખવાવ તાલુકાનું 'વાંકી' નામનું નાનું ને નમણું ગામ. સૂરજ આથમી ચુક્યો હતો અને એક પુરોહિત લોકો સાથે પરમયજ્ઞ અર્પણ કરી રહ્યા હતા. બરોબર એજ સમયે ધરમનો અવતાર ગણાતો એજ ગામનો એક આગેવાન નામુક્કર જઈને ફાસીવાદીઓના પડખે જઈને ભરાયો હતો અને ડુંગરની નીચે એ પુરોહિતની આવવાની રાહ જોતો કાન સાબદા રાખીને ચિતાની જેમ લપાઈ ને બેઠો હતો. એની સાથે ત્રીસથી પાંત્રીસ પીધેલાંઓનું ટોળું પણ હતું.
કલાક એક પછી જીપની ઘરઘરાટી સંભળાતા જ એ ટોળાને જાણે પંખો આવી! ચારે બાજુથી એમણે જીપને ઘેરો ઘાલ્યો જેથી એકલો પુરોહિત છટકી ન શકે. શું બની રહ્યું છે એની સમજણ આવે એ પહેલા તો એ પુરોહિતને ટોળાએ કાંઠલેથી પકડીને જબરદસ્તીથી બહાર ખેંચી કાઢ્યા ને ગડદાપાટુનો માર શરુ કર્યો. કેટલાક શૂરવીરો નિર્લજ્જતાથી એમની પર થુંક્યા પણ ખરા ને એક નરબંકાએ લલકાર કર્યો; "સાલા, હરામખોર, ફરીથી આ ગામમાં પગ મૂક્યો છે તો તારો ઘોઘરો જ દબાવી દઈશું."
હદ તો ત્યારે થઇ જયારે એ પુરોહિતને રસ્તાની નજીક આવેલી દેરીએ લઇ જઈને એમાં બિરાજમાન દેવનાં ચરણસ્પર્શ કરવાની ફરજ પાડી. "તમે કહેશો એમ હું ક્યારેય નહિ કરું, તમારે મને મારી નાખવો હોય તો મારી નાખો." પુરોહિત ટશના મશ ના થયા. વાત વણસતી જોઇને એક કદાવર જણે એમનું કાસળ કાઢવા માટે મસમોટો પથ્થર હાથમાં લીધો ને એમને મારવા માટે સીધો માથા પર તાક્યો. શરણાગતિ સ્વીકારવાને બદલે એ પુરોહિત પ્રભુસ્મરણ કરતાં કરતાં બિલકુલ ટોળાની વચ્ચોવચ્ચ બુદ્ધની જેમ પલાઠી વાળીને બેસી ગયા.
એમના ચહેરા પર દ્રઢતા ને મક્કમતા ભારોભાર છલકાતા હતા જાણે પેલા હેરોદના વંશજોને કહી ન રહ્યા હોય; "જેની માએ સવા શેર સૂંઠ ખાધી હોય એ મેલે પથરો મારા માથા પર." કહેવાની જરૂર નથી કે પેલાનો પથરો હાથમાં ને હાથમાં જ રહી ગયો ને એ ટોળું બૂમબરાડા પાડ્યા સિવાય કશું જ ન કરી શક્યું.
સંદેશર ગામના એ શૂરવીર સપૂતનું નામ છે; આદરણીય ફા.અનિલ સેવરીન એસ.જે.
(એમની સાથેના સંસ્મરણોને આધારે)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો