આમલી ડેમની નજીક નિબીડ વનરાજીની વચ્ચે વસેલુ ઝંખવાવ તાલુકાનું ખોબા જેવડું આમલી નામનું ગામ. થોડામાં સુખ ને સંતોષથી રહેનારા આદિવાસીઓની એ ગામમાં વસ્તી. ગામના મોટા ભાગના લોકોનો જીવનનિર્વાહ મજૂરી પર જ ચાલે. કેટલાક જંગલમાં મજુરી કરવા જાય તો કેટલાક ડેમમાંથી માછલા પકડીને પેટનો ખાડો પૂરે. જીવન આમ જુઓ તો સીધું, સાદું ને મજાનું. ચિંતા માત્ર એક જ વાતની, ગામના પુરુષોને દારૂ પીવાની લત. ઘરે ઘરે દારૂના ભઠ્ઠા. દારૂ તો પીતા પીવે ને ત્યાર પછી શરુ થાય બેસુમાર ગાળોનો વરસાદ. મારામારી અને ઝઘડો એમને કોઠે પડી ગયેલા. એમાં ઘરનાં જ બાળકો ને બહેનો એ હાથવગું નિશાન. વાંક હોય કે ના હોય એમને ઢોર માર મારીને પોતાની મર્દાનગીનું પ્રદર્શન કરે. રોજેરોજના આ ત્રાસથી ગામ આખું ત્રાહિમામ પોકારી ઉઠેલું પણ, વાઘને કોણ કહેવા જાય કે તારું મોં ગંધાય છે.
ઝંખવાવથી દર અઠવાડિયે એક પુરોહિત આ ગામની નિયમિત મુલાકાતે આવે અને ઘેર ઘેર ફરીને દરેકના ખબરઅંતર પૂછે. આવા સંજોગોમાં દારૂડિયાઓના રોજિંદા ત્રાસની વાત એમનાથી છાની રહે ખરી! એમનાથી આ વાત સહી ના જાય ને મનમાં ને મનમાં ધૂંધવાયા કરે, પણ એકલો માણસ છેવટે કરે શું? પુરોહિત હતા એથી શું? એમનામાં દૈવી શક્તિ થોડી હતી કે બધા દારૂડિયાઓની શાન ઠેકાણે લાવવા હામ ભીડી શકે? એક બે જણની વાત હોય તો સમજાવટથી વાતનો નિકાલ આવી શકે, પરંતુ અહી તો વાત હતી ગામ આખાની. શું કરવું એ જ સમજણ ન પડે.
એક સાંજે એ ગામમાં હતા અને લોકોની મુલાકાત લઇ રહ્યા હતા ત્યારે જ એક બહેનને માર પડ્યાની વાત એમના કાન સુધી આવી. એમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઉઠ્યો ને મનનો ધૂંધવાટ ક્યારે આક્રોશમાં ફેરવાઈ ગયો એનું એમને ભાન ન રહ્યું. "એ ઘડી આવી પહોંચી છે. આજે નહિ તો ક્યારેય નહિ. ક્યાં સુધી આ માસૂમ બાળકો અને બહેનોને પડતો ત્રાસ સહન કરવાનો?" મનમાં ને મનમાં એમ વિચારતા એમણે દંડો હાથમાં લીધો અને પેલાના ઘર ભણી મુઠ્ઠી વાળીને દોટ મૂકી. દંડો હાથમાં લઈને દોડતા પુરોહિતને જોઇને મોટા ભાગના ગામલોકો અવાચક થઇ ગયા. પણ, એમનું રૌદ્ર સ્વરૂપ જોઇને ગામની આગળ પડતી બે ચાર બહેનોમાં પણ ચેતનાનો સંચાર થયો. એમણે પણ હાથમાં દંડા લઈને બીજી બહેનોને પણ જોડાવા માટે હાકલ કરી. થોડી જ ક્ષણોમાં એ પુરોહિતની આગેવાનીમાં ગામ આખામાં હાથમાં દંડા લઈને આવેલી બહેનોનું લશ્કર ફરી વળ્યું ને ઘરે ઘરે જઈને ઘડીના છઠ્ઠા ભાગમાં દારૂ ભરેલા એકે એક માટલાના ભુકેભુક્કા બોલાવી દીધા.
એ દિવસ પછી મોટા ભાગના લોકોએ દારૂને ક્યારેય નહિ અડવાનુ પણ લીધું. દારૂડિયાઓની શાન ઠેકાણે લાવનાર એ નીડર ને નિભીંત ક્રાંતિવીરનું નામ જાહેર કરવાની જરૂર ખરી!
- એમની સાથેના સંસ્મરણોને આધારે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો