9 એપ્રિલ, 2015

અમારો દીકરો કે દીકરી શ્રેષ્ઠ છે.

"અમારા સૌમ્યની તો વાત જ કરવા જેવી નથી. ભણવામાં તો એ અવ્વલ નંબરે છે જ સાથે સાથે બીજી બધી જ બાબતોમાં પણ એને ખૂબ રસ પડે. આ વેકેશનમાં તો એને અમે સમરકેમ્પમાં મોકલવાનું નક્કી કરી દીધું છે જ્યાં ડાન્સ, યોગા, કરાટે અને આર્ટ અને ક્રાફ્ટ શીખવવામાં આવે છે જેથી એનો સર્વાંગી વિકાસ થઇ શકે."

"હા હોં, અમારી અવનિ પણ બહુ હોંશિયાર છે. સ્માર્ટફોન ઉપર એ જે રીતે આંગળીઓ ફેરવે છે એ જોઇને તો આંખો ફાટી જાય. અમે તો એને આ વખતે "બ્રેઈન ડિવેલોપમેન્ટ" માટેના સ્પેશલ કલાસીસમાં મૂકવાનું અત્યારથી જ વિચારી લીધું છે."

વેકેશનની ઘડીઓ ગણાઇ રહી છે આથી જાગૃત અને ખમતીધર માબાપ અત્યારથી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવતા પોતાના સંતાનો વિષે વિચારતા થઇ ગયા છે અને કેટલાકે જુદા જુદા કલાસીસમાં બુકિંગ પણ કરાવી દીધું હોય તો નવાઈ નહિ. હા, આ દોડ અને કસરત છેવટે તો પોતાના સંતાનને શ્રેષ્ઠ બનાવવાની જ છે ને! આ સંજોગોમાં, બાળપણમાં રમવાની ઉમરે શું બાળકને આવા કલાસીસમાં મૂકવા યોગ્ય ગણાય ખરા? જવાબ અઘરો છે પણ સમજવો મુશ્કેલ નથી. 

મનોવૈજ્ઞાનિક તારણોનો આધાર લઈએ તો, શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યા પછી બાળકના શારીરિક કરતાં માનસિક વિકાસમાં - વર્તન, રસ, મૂલ્યો અને વલણ - માં સતત અને ઝડપથી ફેરફાર થતો જોવા મળે છે. માબાપ માટે આ ઉમર તકલીફો ઉભી કરનારી જણાય છે. કારણ, બાળકો પોતાના માબાપ અને કુટુંબીજનો કરતાં મિત્રોનું અનુકરણ કરવાનો વધારે પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિકો પણ આ ઉમરને "ગેંગ એજ" તરીકે ઓળખાવે છે. આ ઉમરના બાળકો પોતાના મિત્રોમાં ચોક્કસ ઓળખ ઉભી કરવાનો પ્રયત્ન કરે છે. આ ઉમરમાં પણ બાળક શાળામાં જતું હોવા છતાં, રમવામાં એનો રસ એવો ને એવો જ જળવાઈ રહે છે. આથી આ સમયગાળાને પણ "રમતગમતની અવસ્થા" તરીકે ઓળખવામાં આવે છે. આમ, રમતાં રમતાં જ બાળકમાં શારીરિક અને સામજિક કૌશલ્યોનો કુદરતી વિકાસ જોવા મળે છે. 

ટૂંકમાં, બાળપણ એ કોઈપણ બાળક માટે રમતગમત માટેની શ્રેષ્ઠ અવસ્થા છે અને આ રમતો માબાપે પરાણે ઠોકી બેસાડેલી નહિ પરંતુ એને કુદરતી રીતે જે ગમે છે એવી જ હોવી જોઈએ. દોડાદોડી અને પકડાપકડીની રમતો એને માટે શ્રેષ્ઠ ગણી શકાય. આથી જો બાળકને એની જ ઉમરનાં બાળકો સાથે આવી રમતો રમવાની તક અને મોકો આપીશું તો એનો ઉછેર કુદરતી રીતે જ થવાનો છે.  એના માટે 'સ્પેશલ કલાસીસ' કરાવવાની કોઈ જરૂર નથી.  

છેલ્લે, બાળકને 'સ્પેશલ કલાસીસ'માં મોકલીને શ્રેષ્ઠ બનાવવું એ બાળકની નહિ પણ માબાપની જરૂરિયાત છે. આમ કરવામાં બાળક પોતાનું બાળપણ ન ગુમાવી બેસે એ જોવાની ફરજ માબાપની છે. 

(સૌજન્ય: ડિવેલોપમેન્ટલ સાઈકોલોજી - એલીઝાબેથ હર્લોક) 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...