6 મે, 2015

ઝેર તો પીધાં જાણે અજાણે.

અનુસ્નાતક કક્ષાએ એક સીધો સાદો યુવાન કોઈનોય હાથ ઝાલ્યા વિના જનરલ સેક્રેટરીની ચૂંટણીમાં પોતાની પ્રતિભાને જોરે બહુમતીથી ચૂંટાઈ આવ્યો ત્યારે વિદ્યાર્થીઓએ એને હોંશે હોંશે વધાવી લીધો હતો. સાથીઓની આશા અપેક્ષાઓને સાકાર કરવા માટે પોતાના બુદ્ધિ અને શક્તિનો યોગ્ય ઉપયોગ થાય એ માટે યુવાને કમર કસીને કામ કરવા માંડ્યું પણ બહુ ઓછા સમયમાં એને સમજાઈ ગયું કે સત્તાધીશોની મરજી વગર ઘાસનું તણખલુંય આઘું પાછું થઇ શકે એમ નહોતું. છેવટે વિદ્યાર્થીઓના આશ્ચર્ય વચ્ચે ન બનવાનું બન્યું. સતત થઇ રહેલા ઉપેક્ષા અને અવહેલનાઓથી હારીથાકીને એ યુવાને પહેલું સેમીસ્ટર પૂરું થયું કે તરત જ રાજીનામું ધરી દીધું. 

ભણતર પૂરું કર્યા પછી આ યુવાનને સેવાલિયા નજીક આવેલા કાંકણપુરની એક ખાનગી સંસ્થામાં અધ્યાપક તરીકે નોકરી મળી અને બહુ સહેલાઈથી રહેવા માટે સ્ટાફના એક સભ્યનું ઘર પણ મળી ગયું. હજી તો માંડ દસ દિવસ નહોતા થયા ને મકાનમાલિકે "સંસ્કૃતના પ્રાધ્યાપક હોવાને નાતે હું તો તમને અત્યાર સુધી સવર્ણ જ માનતો હતો પરંતુ, તમે તો હિંદુ વણકર છો. તમને ઓળખાતો નહોતો એટલે ઘર આપ્યું હતું. પણ હવે હું ઈચ્છું તો પણ તમને આ ઘરમાં રહેવા દઈ શકું એમ નથી કારણ, મારે મારા સમાજમાં રહેવાનું છે." એમ કહીને ઘર ખાલી કરાવી દીધું. ના છૂટકે એ યુવાને આણંદથી કાંકણપુર રોજેરોજની સફર ખેડવાનું સ્વીકારવું પડ્યું. સાડા સાત વર્ષની એ સફર સામાન્ય રીતે શારીરિક અને માનસિક રીતે થકવી દેનારી સાબિત થાય પણ દ્રઢ અને મક્કમ મનોબળ ધરાવતા આ યુવાને આ કપરા સંજોગોને ટક્કર આપવા માટે પોતાની જાતને તૈયાર કરી અને ભણાવતા ભણાવતા સ્લેટની પરીક્ષા પસાર કરી અને ત્યાર પછી પી.એચ.ડી. ની ઉપાધિ મેળવીને સાબિત કરી બતાવ્યું કે "હોંશલા હો બુલંદ તો હિમાલય ચઢના ભી આસાન હે."

ઓનલાઈન અરજીની સુવિધા શરૂ થયા પછી મેરીટને આધારે આ યુવાનને મહેસાણામાં કોલેજમાં ઓપન કેટેગરીમાં કાયમી નોકરી મળી ત્યારે તો છેવટે નસીબ આડેનું પાંદડું ખસી ગયું હોય એવું લાગ્યું. પણ, એ આનંદ ઝાઝો ટકી શક્યો નહિ કારણ, સરકારી નોકરી મળવા માત્રથી એના સામાજિક સ્થાનમાં તો રતિ ભારનોય ફેર નહોતો પડ્યો. કુટુંબ સાથે એ શહેરમાં સ્થાયી થવાના ઈરાદે એ યુવાન દરબદર ભટક્યો પણ એની પીએચડીની ઉપાધિ પણ ભાડાનું ઘર મેળવવાના કામમાં ના આવી. ફરી એકવાર એને એની જાત નડી ગઈ. પ્રખર બુદ્ધિપ્રતિભા હોવા છતાં સામાન્ય વ્યવહારમાં પણ વેઠવા પડતા અપમાન અને અવહેલનાઓથી એ યુવાનના વ્યથા અને આક્રોશ વધતા જ ગયા ને છેવટે "ઝેર તો પીધાં જાણે અજાણે." નામના કાવ્ય સંગ્રહમાં વ્યક્ત થયા વિના ન રહ્યા.

આ યુવાનનું નામ મહેશભાઈ અર્જુનભાઈ વાઘેલા. મૂળ વતન કચ્છ પણ વર્ષો પહેલા એમના બાપદાદા આણંદ નજીક આવેલા ગામડી ગામમાં સ્થાયી થયેલા. એમના બાપુજીએ આણંદ આવ્યા પછી પણ પોતાનો બાપીકો ધંધો ચાલુ રાખેલો. ઝાઝા બાળકો ને કમાનાર માત્ર બે જણા એટલે બાર સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ. આ સંજોગોમાં પોતાના ભાઈઓની જેમ બાળક મહેશ પણ સમજણો થયા પછી ઘરવાળાની મદદમાં જોડાઈ ગયો. ખેતરમાંથી છાણા, લાકડા, મગફળી અને બટાકા વીણી લાવવા, કડિયા કામ કરવું વગેરે એના જીવનના ભાગ બની ગયા. આમ મહેનત કરતાં કરતાં એ અગિયારમાં ધોરણમાં આવ્યો ત્યારે બનેલા બે બનાવોએ એના જીવનની દિશાને બદલી નાંખી. જાણે જીવન જીવવાની જડીબુટ્ટી એને જડી ગઈ હતી.

દાયકાઓ પહેલા કચ્છી પરિવારોમાં બાળવિવાહની નવાઈ નહોતી. મહેશ અગિયારમાં ધોરણમાં આવ્યો ત્યારે એની સગાઇ થઇ ચૂકી હતી અને લગ્નની શરણાઈઓ વાગવાની ઘડીઓ ગણાઇ રહી હતી પણ એજ વર્ષે એક ગોઝારા ટ્રેન અકસ્માતમાં એણે પોતાનો ડાબો હાથ ગુમાવવો પડ્યો. એક હાથ ન હોવાની હોવાની વેદના શારીરિક કરતાં માનસિક વધારે હતી. બીજી બાજુ એના સાસરી પક્ષવાળાએ એની ભાવિ પત્નીને નારિયેળ પાછું નાંખી આવવા માટે દબાણ કરવા માંડ્યું પણ પરમેશ્વરમાં અપાર શ્રદ્ધા ધરાવતી સોળ વર્ષની અણસમજુ બાળા કમલાબેન તો મહેશને મનોમન વરી ચૂકી હતી એટલે નારિયેળ પાછું આપીને સગાઇ ફોક કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. સગાઇ તો ફોક ના જ થવા દીધી પણ લગ્નજીવનમાં પણ ખભેખભો મેળવીને મહેશને દુઃખના એ સમયમાં સધિયારો આપતી રહી. આ બનાવે મહેશના જીવનમાં આશા અને ઉત્સાહનો ભરપૂર સંચાર કર્યો ને કોઈપણ ભોગે આગળ ભણીને જીવનને નવી દિશા આપવાનું નક્કી કરી લીધું.

શરૂઆતના વર્ષો અપાર સંઘર્ષના નીવડ્યા. ઘરનું વાતાવરણ માફક આવે નહોતું. આજુબાજુની વસ્તીની તો વાત કરવા જેવી જ નહોતી. દારૂ, જુગાર, વાતવાતમાં મારામારી અને પોલીસ ચોકીના ચક્કર કાપ્યા વિના લોકોને ચેન નહોતું પડતું. બીજી બાજુ, લગ્ન પછી બાળકો અને કૌટુંબિક જવાબદારી નિભાવવાની એ આર્થિક રીતે મહેશના હાથની વાત નહોતી. પણ, પત્નીએ ટેકો કર્યો ને જેમતેમ એમનું ગાડું ગબડવા માંડ્યું. કોલેજ કાળમાં અને પછી નોકરી કરતી વેળાએ પણ દલિત હોવાનું લેબલ નડ્યા કરતું હતું. પણ, આ બધા વિધ્નો - શારીરિક અને માનસિક વેદના, આર્થિક અને સામાજિક સમસ્યાઓ, કુટુંબ અને સમાજ તરફથી પ્રોત્સાહનનો અભાવ - ની વચ્ચે પણ મહેશે આગળ વધવાનું નક્કી કર્યું હતું ને છેવટે સફળતા મેળવીને જ રહ્યો.

સંઘર્ષ તો આજે પણ યથાવત છે. પણ દલિત હોવાને કારણે જે માનસિક પરિતાપથી પ્રાધ્યાપક મહેશ પીડાયા છે એ વેદનાએ એમને વધારે પુખ્ત અને પરિપક્વ બનાવ્યા છે. પરિણામે, દુનિયા સમક્ષ ફરિયાદો કરવાને બદલે પોતાની શક્તિ અને આવડતો બીજાના ખપમાં આવે એવી મથામણ સતત કરતા રહે છે. 

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...