વ્હાલા તથ્ય,
તા. ૭/૧૨/૨૦૧૫ના રોજ બપોરે શાળા છૂટ્યા પછી રાબેતા મુજબ પોણા એક
વાગ્યે તું ઘરે આવ્યો ત્યારે અવિરત ચાલતી રહેતી તારી જીભ સિવાઈ ગઈ હોય એવું લાગતું
હતું. સદાય હસતો, કૂદતો ને ઉછળતો રહેતો તું વધારે પડતો ધીરગંભીર જણાતો હતો. જમવાનો,
રમવાનો ને થોડો અભ્યાસ કરવાનો તારો નિત્યક્રમ ટાળીને તેં સૂવાનું પસંદ કર્યું.
મારી અનુભવી આંખોએ કંઇક અજુગતું બન્યું હોવાની ને એ બનાવથી તું ડઘાઈ ગયો હોવાનું
અનુમાન બાંધ્યું. આમ છતાં, તું કદાચ બિમાર પડ્યો હોય એવું ધારીને અમે તને સાંજના
પાંચ વાગ્યા સુધી નિરાંતે સૂવા દીધો. આ સમય દરમિયાન તારા શરીરને અમે તપાસતા રહ્યા
પણ તું બિમાર હોવાના કોઈ લક્ષણો અમને જણાયા નહિ.
સાંજે પાંચ વાગ્યે ઉઠ્યા પછી હું તને ચિખોદરા ગામ ભણી સાઈકલીંગ માટે
લઇ ગયો. લીલાંછમ ખેતરો અને આથમતા સૂરજને જોઇને તું ખુશ થયો ને ધીમે ધીમે તારી હણાઈ
ગયેલી વાચા પાછી આવવા માંડી. ઘરે પાછા આવીને પણ અમે તારી સાથે રમતા રહ્યા અને વાતો
કરતા રહ્યા. આ વાતચીત દરમિયાન અચાનક તારી આંખોમાંથી દડ દડ આંસુ વહેવા માંડ્યા ને
ડૂસકાં ભરતા ભરતા જ તેં અમને કહ્યું;“આજે મને મારા ટીચરે
બધાની વચ્ચે એક લાફો ચોડી દીધો હતો.”
“કશો
વાંધો નહિ દીકરા, તું ચિંતા ના કરીશ. આવતીકાલે જ અમે તારી શાળામાં આવીને આચાર્યાને
આ બાબતથી વાકેફ કરીશું અને ભવિષ્યમાં કોઈપણ બાળક સાથે આવું વર્તન ન થાય એની ખાતરી
મેળવીશું.” અમે તને પૂરેપૂરી હૈયાધારણા
આપવાનો પ્રયત્ન કર્યો ને એની તારા ઉપર ખૂબ હકારાત્મક અસર અમને જોવા મળી. બીજા જ
દિવસે શાળા છૂટ્યા પછી અમે શાળાના આચાર્યાને રૂબરૂ મળ્યા ને એમને આખા બનાવથી વાકેફ
કર્યા અને સાથે સાથે ભવિષ્યમાં આવું ન બને એની તકેદારી રાખવાની વિનંતી અને રજૂઆત
કરી.
તું બાળક છે અને તારા હક અને અધિકારનો ભંગ ન થાય એ માટે અમે હંમેશાં જાગૃત રહીશું અને જરૂર જણાય ત્યાં આગળ યોગ્ય પગલા લેતા ક્યારેય ખચકાઈશું નહિ. કારણ,
બાળ અધિકારો તથા મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો, ૨૦૦૯ના કલમ/વિભાગ ૧૭(૧), ૧૭(૨)
અને ૩૮ દ્વારા દરેક બાળકને શારીરિક શિક્ષા અને માનસિક હેરાનગતિ પર પ્રતિબંધ મૂકવામાં
આવ્યો છે અને આ કાયદાનો યોગ્ય રીતે અમલ થાય એ માટે આ બાબતની દરેક લગતા વળગતા
વિભાગો તથા શાળાઓને પણ લેખિત પરિપત્રો દ્વારા જાણ કરવામાં આવી છે.
અંતમાં, તને એટલું જ કહેવાનું કે તું હંમેશાં નચિંત અને નિર્ભય બનીને
રહેજે.
અમે છીએ ને!
લિ.
તારા મમ્મી પપ્પા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો