લેબલ મજાનું જીવન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મજાનું જીવન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

12 માર્ચ, 2014

શબ્દો છેતરામણાં હોઈ શકે છે.

"તને હું મારા પૂરા હૃદયથી ચાહું છું અને તને જ હું જીવનભર વફાદાર રહીશ." તમારી મિત્ર તમારા કાનમાં આ વાત કહે છે ને તમે ઓળઘોળ થઇ જાઓ છો. 
"દોસ્ત, મારા પર ભરોસો રાખજે. આપણી મિત્રતાને ખાતર તારા વિશે હું કોઈનેય ક્યારેય ખરાબ વાત કરીશ નહિ." ચાની ચૂસકી લેતાં લેતાં તમારો સહકાર્યકર તમને ભરોસો આપે છે ને તમને એની ઉપર શંકા કરવાને કોઈ કારણ નથી. 
"અરે! તમે આટલું ઝડપથી ચીવટપૂર્વક આટલું બધું કામ કઈ રીતે કરી શકો છો! હું તમને નજીકના ભવિષ્યમાં જ બઢતી આપીશ." બોસની આ વાત સાંભળીને તમારા હરખનો પાર રહેતો નથી.

ખૂબ જ ટૂંકા ગાળામાં તમને આનાથી વિપરીત અનુભવો થાય છે. તમને દિલથી ચાહનારી તમારી મિત્રને તમે  અન્ય કોઈ સાથે મલ્ટીપ્લેક્સ્માંથી બહાર નીકળતી જુઓ છો ને તમારું દિલ ભાંગી જાય છે. તમારો સહકાર્યકર તમારા બોસને કાનભંભેરણી કરી રહ્યો હોય છે ને આ વાતની તમને ખબર પડી જાય છે. તમારો બોસ તમારે બદલે અન્ય કોઈને બઢતી આપીને તમને માત્ર ઠીંગો બતાવે છે. કહેવાની જરૂર નથી કે તમે જેમનાં શબ્દો પર વિશ્વાસ રાખ્યો હતો એજ વ્યક્તિઓને વિશ્વાસભંગ કરતાં જોઇને તમારું હૈયું ચિરાઈ જાય છે.

મહદઅંશે આપણને જે કહેવામાં આવે છે તેને આપણે માનીને ચાલીએ છીએ. આથી જ એમ કહેવાય છે કે 'વિશ્વાસ વગર વહાણ પણ ન ચાલે.' પરંતુ અહી જ આપણે ગોથું ખાઈ જઈએ છીએ કારણ કે આપણને જે કહેવામાં આવે છે એને આપણે ઉંધુ ઘાલીને માની લઈએ છીએ પરંતુ આપણે જે જોઈએ અને અનુભવીએ છીએ એની ચકાસણી અને મૂલ્યાંકન કરવાની કાળજી ક્યારેય લેતા નથી. શબ્દો અને વાણી જો વર્તનમાં ન પરિણમે તો એવાં ખોખલાં શબ્દો પર ભરોસો રાખવાનો કોઈ અર્થ નથી. જો તમારી મિત્ર, તમારો સહકાર્યકર કે તમારો બોસ જે બોલે છે એ પ્રમાણે વર્તન ન કરતા હોય તો એમના લાગણીભર્યા ખોખલા શબ્દોથી છેતરાશો કે ભરમાશો નહિ.

(નોએલે નેલ્સનના પુસ્તક "એવરીડે મિરેકલ્સ"માંથી ભાવાનુવાદ) 

28 જાન્યુ, 2014

અરે, આ તો મારા હાથની વાત છે.

તમારા જીવનના સૌપ્રથમ ઇન્ટરવ્યુમાં સમયસર પહોંચી શકાય એટલા માટે તમે શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને ઘરેથી વેળાસર નીકળ્યા છો. પરંતુ રસ્તામાં અકસ્માત થવાને કારણે તમે અધવચ્ચે જ ફસાઈ જાઓ છો અને ટ્રાફિક શરૂ થયા પછી તમારા સમયસર પહોંચવાની કોઈ શક્યતા જણાતી નથી. આથી તમે નિરાશ થઇ જાઓ છો અને 'મારી સાથે જ કેમ આમ થાય છે' એમ મનોમન બોલીને તમારી જાતને કોસવા માંડો છો.

સાંજના સમયે તમારા પતિ ઘરે આવે ત્યારે ઘરમાં શાંતિ અને નિરાંત હોય એમ ઈચ્છે છે પરંતુ એ આવે છે ત્યારે જ તમારા બંને બાળકો મસ્તીએ ચઢીને ઘમાસાણ મચાવી દે છે આથી તમારા પતિ "અરે, બે ઘડી પણ તું આમને સાચવી શકતી નથી" એમ કહીને તમારા પર ખૂબ ગુસ્સે થઇ જાય છે.

તમારી ઓફિસમાં તમે એક અગત્યનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે મથી રહ્યા છો પરંતુ એક યા બીજા કારણોસર તમારો પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક અટવાયા કરે છે. સ્વાભાવિક રીતે જ દોષનો ટોપલો તમે અન્ય સાથીઓ પર ઢોળવાનો પ્રયત્ન કરો છો.

ઉપરોક્ત ત્રણ કિસ્સાઓની જેમ જીવનમાં એવી ઘણી બાબતો બનતી હોય છે જેમની ઉપર આપણો  કોઈ કાબૂ હોતો નથી. અને આવે સમયે મોટેભાગે આપણે કાં તો નસીબને દોષ દઈને પરિસ્થિતિને સ્વીકારી લઈએ છીએ અથવા તો દોષનો ટોપલો બીજાની ઉપર ઢાળી દઈએ છીએ. આવે સમયે નિરાશ થવાને બદલે આપણે આપણો અભિગમ બદલીને સૌપ્રથમ તો પરિસ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ. બીજું, બીજા ઉપર દોષ ઢાળવાને બદલે એના ઉપાયો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને છેલ્લે પરિસ્થિતિ પ્રમાણે પ્રતિભાવ આપતા રહેવું જોઈએ. 

આમ, પહેલા કિસ્સામાં સમયસર નથી પહોંચી શકવાના એમ સમજાય કે તરત જ ઇન્ટરવ્યુ લેનારને ફોન કરીને માહિતગાર કરી દેવા જોઈએ અને સમયમાં કોઈ ફેરફાર થઇ શકે એમ છે કે નહિ એની શક્યતા તપાસવી જોઈએ. બીજા કિસ્સામાં, પત્નીએ પતિ આવે એ પહેલા બાળકોને બીજા ઓરડામાં રમવા મોકલી દેવા જોઈએ અને છેલ્લા કિસ્સામાં સાથી કર્મચારીઓને સાંભળવા જોઈએ અને સાથે મળીને કેવી રીતે પ્રોજેક્ટને પૂરો કરી શકાય એનો વિચાર કરવો જોઈએ.

(નોએલે નેલ્સનના પુસ્તક "એવરીડે મિરેકલ્સ"માંથી ભાવાનુવાદ)

23 જાન્યુ, 2014

આપણાં કાર્યો એ આપણાં વિચારોનો પડઘો છે.

વહેલી સવારે ઉઠતાંવેંત તમે ઠંડાગાર વાતાવરણનો અનુભવ કરો છો. આથી નાખુશ થઈને બ્રશ કરતી વેળાએ અરીસા સામે તમારી જાતને નિહાળીને તમે વિચારવાનું શરૂ કરો છો; "સાલો, આજનો દિવસ જ બેકાર છે. આ ઠંડા વાતવરણ ને લીધે મારી કારનું એન્જીન પણ ઠંડુ પડી ગયું હશે. એને ચાલુ કરવા માટે ધક્કા તો મારવા જ પડશે. હા, પણ ધક્કા મારશે કોણ ? મારા પડોશીઓ તો બધા નકામા અને કામચોર છે." 

ઘરમાં પહોંચીને રેડીયો શરૂ કરતાં જ તમને ટ્રાફિકની મોકાણના સમાચાર મળે છે ને તમારું મગજ ચક્કરભમ્મર ઘૂમવા માંડે છે; "જેમતેમ કરીને કારને તો ચાલુ કરીશ પણ, શહેરમાં ટ્રાફિક વધારે હોવાને કારણે આજે ઓફિસ મોડુ જ પહોંચાશે. મોડો પડીશ એટલે 'બોસ'ની ડાંટ ખાવી પડશે ને એને લીધે કામમાં પણ ભલેવાર નહિ જ આવે. અને હા, આવતી વેળાએ ચા ને ખાંડ બંને યાદ કરીને લાવવાના છે. જો લાવવાનું ભૂલી ગયો તો ચા પીધા વગર આજની સાંજ પણ બગડવાની જ. સાલો, આજનો દિવસ જ બેકાર અને નકામો છે."

એક પ્રયોગમાં, ત્રણ સરખા બીજને એકદમ સરખા વાતાવરણમાં એટલે કે એકસરખું ખાતરપાણી અને સુર્યપ્રકાશ મળે એ રીતે રોપવામાં આવ્યા. ત્યારપછી દરેકની સાથે એકદમ અલગ રીતે વાતો કરવામાં આવી. પ્રથમ બીજને કહેવામાં આવ્યું કે;"તું ક્યારેય સારો છોડ બની શકીશ નહિ, કારણ તારું વાવેતર જ બરોબર કરવામાં આવ્યું નથી."
બીજાને કહેવામાં આવ્યું કે;"તારો વિકાસ પણ બીજા બધા છોડની જેમ સાધારણ જ થવાનો છે."
ત્રીજાને કહેવામાં આવ્યું કે;" તારું એક સુંદર અને અદભૂત છોડમાં રૂપાંતર થશે, કારણ તને ખૂબ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતથી રોપવામાં આવ્યો છે."
પ્રયોગને અંતે જાણવા મળ્યું કે પહેલો છોડ વિકસ્યો જ નહિ, બીજાનો સાધારણ વિકાસ થયો જયારે ત્રીજો છોડ સુંદર અને અદભુત રીતે વિકસ્યો.

તમે જે વિચારો છો એનો જ પડઘો તમારા કાર્યોમાં પડે છે. તમે દિવસની શરૂઆત નકારાત્મક વિચારોથી કરો અને પછી દિવસ સુંદર અને મજાનો જાય એ શક્ય બનવાનું નથી આથી જ વિચારોને હકારાત્મક ઓપ આપવો જ રહ્યો. ઉપરના વિચારોને આપણે નીચે મુજબ વિચારીને દિવસને સુંદર અને મજાનો બનાવી શકીએ.

"આહાહા ! આજે કેવું ફૂલગલાબી અને ખુશનુમા વાતાવરણ છે! મારી કારનું એન્જીન ઠંડુ પડી ગયું હોવા છતાં ચાલુ થશે અને નહિ ચાલુ થાય તોય મારા  પાડોશીઓ કેવા મદદરૂપ છે ! તેઓ મને ચોક્કસ મદદ કરશે. ટ્રાફિક વધારે છે તો વાંધો નહિ, ઘરેથી થોડો વહેલો નીકળીને સમયસર ઓફીસ પહોંચીશ એટલે 'બોસ' પણ ખુશ થશે ને આમ આખો દિવસ હું પણ ખુશ રહીને કાર્યદક્ષતાથી મારું કામ પૂરું કરીશ અને હા, આવતી વખતે ચા ને ખાંડ લાવવાનું મને અચૂક યાદ રહેશે. કદાચ નહિ યાદ રહે તો પણ થોડી ખાંડ અને કોફી તો ઘરમાં છે જ ને ! આજનો દિવસ કોફીનો આસ્વાદ માણીશ. આમ મારો આજનો દિવસ સુંદર અને અદભૂત બની રહેશે."

 કહેવાની જરૂર નથી કે તમારા વિચારોનો પડઘો તમારા જીવનમાં પડ્યા વિના રહેવાનો નથી.

(નોએલે નેલ્સનના પુસ્તક "એવરીડે મિરેકલ્સ"માંથી ભાવાનુવાદ)

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...