લેબલ મનની વાત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મનની વાત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

16 ઑગસ્ટ, 2014

આવો છે મારો રાષ્ટ્રપ્રેમ.

ગઈકાલે સ્વાતંત્રદિન હતો. બપોર પછી નવરાશનો સમય મળ્યો ને મારી નજર અનાયાસે પુસ્તકો પર ફરી વળી. આજના દિવસના મહાત્મ્યને ધ્યાનમાં રાખીને મારા ભાથામાંથી મેં સ્વામી સચ્ચિદાનંદનું "વિદેશ યાત્રાની પ્રેરક વાતો" પુસ્તક બહાર કાઢ્યું. વાતો ને પ્રસંગો નાના પણ જકડી રાખે એવા. સાદી ને સરળ ભાષામાં ધીમેધીમે ઉમદા અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિત્વનો પરિચય કેળવાતો ગયો. એકીસાથે અનેક પ્રકરણો વાંચ્યા પછી પણ પુસ્તકને છોડવાનું મન નહોતું થતું. વિશ્વાસ, વફાદારી, પ્રમાણિકતા, ઈમાનદારી, ફરજપરસ્તી, કર્તવ્યનિષ્ઠાના એકએકથી ચઢીયાતા ઉદાહરણો વાંચીને મારામાં રહેલો રાષ્ટ્રપ્રેમ ઉછાળા મારવા માંડ્યો.

પણ બીજી જ પળે સ્વામીજીની સરખામણીની વાતો વાંચીને ને વિચારીને રાષ્ટ્રપ્રેમનો એ ઉભરો એકાએક શમવા માંડ્યો. વિદેશની સરખામણીમાં આપણે ક્યાં છીએ? કદાચ, રાષ્ટ્રપ્રેમની બાબતમાં આપણે એમના પેગડામાં પગ મૂકવાને પણ લાયક નથી. યાદશક્તિને બહુ જોર આપીએ ત્યારે કેટલાક રડ્યાખડ્યા ઉદાહરણો નજર સમક્ષ ઉપસી આવે પણ સામાન્ય રીતે ચિત્ર ખૂબ નિરાશાજનક દેખાય. વર્ષમાં બે દિવસ આપણો રાષ્ટ્રપ્રેમ છલકાઈ ઉઠે ને બાકીના ત્રણસો ને ત્રેસઠ દિવસ એની એજ ઘરેડમાં જીવન જીવાતું જાય. જાહેર અસ્વછતા, અપ્રમાણિકતા, કામચોરી ને ભ્રષ્ટાચાર આપણી રગેરગમાં વણાઈ ગયા છે. 

રાત પડીને વિચારોનું વલોણું શરૂ થયું ને મારી જાત સાથેની જાત્રા શરૂ થઇ. "બીજાની વાતો છોડ, તે દેશને માટે શું કર્યું?" પહેલો જ પ્રશ્ન એવો ધારદાર અને અસરકારક નીવડ્યો કે એ આત્મમંથનને અંતે મન આત્મગ્લાનિ ને વિષાદથી ઉભરાઈ આવ્યું કારણ, જવાબો બહુ હરખાવા જેવા નહોતા. બિનજવાબદાર નાગરિક તરીકેના મારા ફાળાને દુનિયા ભલે ના જોઈ શકતી હોય પણ મને તો એ બહુ સ્પષ્ટ દેખાતો હતો.  

મારું આ આત્મમંથન સફળ ન  નીવડે ત્યાંસુધી છાતી બહાર કાઢીને રાષ્ટ્રધ્વજને સલામી આપવી એ નર્યા દંભથી વિશેષ બીજું કશું જ નથી.

1 જૂન, 2014

સહેજ માટે પનો ટૂંકો પડ્યો.

આમ તો સ્પર્ધા અને હરિફાઈઓથી હું સો જોજન દૂર ભાગુ છું. પણ, આ વેળાએ, "હરિફાઈમાં ભાગ લેશો તો હારશો કે જીતશો પણ તમારો ગજ ક્યાં સુધી વાગે છે એની તો ખબર પડશે ને છેવટે આત્મમંથન માટેની એક તક અનાયાસે ઉભી થશે." એમ કહીને સ્પર્ધામાં ભાગ લેવા માટે મારા સંગિનીએ મને માંડમાંડ તૈયાર કર્યો. એમની વાતને માનીને છેવટે 'કાકા કાલેલકર પ્રવાસવર્ણન સ્પર્ધા 2014'માં મેં ઝંપલાવી જ દીધું .

કરવાનું તો કશું હતું નહિ કારણ, જે મનમાં હતું એ તો ટુકડે ટુકડે કયાંક ને ક્યાંક નોંધી રાખ્યું હતું. અલબત, આ બધાને ભેગું કરતાં નાકે દમ આવી ગયો. ફેસબુક પર ફકરાઓ લખવા ને બે થી ચાર હજાર શબ્દોનો વ્યવસ્થિત નિબંધ તૈયાર કરવો એમાં આભ જમીનનો ફેર. આમછતાં, ચોટલી વાળીને બેસી ગયો અને યાદશક્તિને ખાસ્સી તકલીફ આપીને 'પહેલી નજરે પંચમઢી' નિબંધ તૈયાર કર્યો ને આયોજક શ્રી સુધીરભાઈને ઠેઠ છેલ્લા દિવસે ઇમેલ દ્વારા મોકલી આપ્યો. સામેથી જવાબ આવ્યો આ ફોર્મેટ નહિ ચાલે પીડીએફમાં કન્વર્ટ કરીને મોકલી આપો. રાત થોડી ને વેશ ઝાઝા. ઈન્ટરનેટ પર ખાંખાખોળા કરીને 'ટ્રાયલ અને એરર' મેથડનો ઉપયોગ કર્યા પછી અડધી રાતે મને સફળતા મળી ત્યારે સ્પ્રિંગની પેઠે હું હરખના માર્યો ખુરશીમાં જ અડધોવેંત અદ્ધર ઉછળ્યો ને તાબડતોબ અંતિમ તારીખ ચૂકી જવાય એ પહેલાં જ ફાઈલ ફોરવર્ડ કરી દીધી.

આમ, પહેલો કોઠો મેં પસાર કરી દીધો. 'વરને વખાણે વરની મા' એ ન્યાયે હું પણ મારો લખેલો નિબંધ જોઇને હરખાયા કરતો હતો અને "ઓટો સજેશન"ની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે મારી જાતને, સ્નેહીઓ, મિત્રો, શુભેચ્છકોને એમ ગામ આખામાં કહી વળેલો કે પહેલો નંબર તો આ બંદાનો જ આવવાનો છે. આમ, કહેતી વેળાએ હું એ હકીકત ભૂલી જતો હતો કે આ એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી જેમાં જગતભરના ગુજરાતીઓ પોતાની કલમ લઈને કૂદી પડવાના હતા અને પોતાના અનુભવોને શબ્દનું રૂપ આપીને ગળાકાપ હરીફાઈને જન્મ આપવાના હતા જેમાં મારા જેવાનો કશો ગજ નહોતો વાગવાનો.

પ્રથમ નંબર મેળવવાની લાલસાનું એક કારણ એ હતું કે એમાં રોકડ પુરસ્કાર રૂપિયા એકાવન હજારનું ઇનામ પણ સામેલ હતું. જો આ ઇનામ લાગી જાય તો પછી ફરીથી ગાડી લઈને દક્ષિણ ભારતના પ્રવાસે નીકળી પડવાનો વિચાર પણ કરી જ રાખ્યો હતો જે અનુભવ આવતા વર્ષ માટે કામમાં આવે ને ફરીથી પુરસ્કારના માલિક બની શકાય. આમ, આ પુરસ્કાર મેળવવાનું નિરંતર ચાલુ રહે ને અમે સદાય પારકે પૈસે રખડતા જ રહીએ એવો પાકો અને જડબેસલાક વિચાર હતો.

બરોબર, ત્રણ મહિના પછી મુંબઈથી ફોન આવ્યો ને ફરીથી હું ખુશીના માર્યો અદ્ધર ઉછળ્યો પણ દુર્ભાગ્યે મારી એ ખુશી લાંબુ ના ટકી કારણ, ફોન કરનાર બહેને મારી કૃતિને પસંદ કરવામાં આવી છે એટલી જ માહિતી આપીને મુંબઈ સમારંભમાં હાજર રહેવાનું નિમંત્રણ પાઠવ્યું. એનો સીધો અર્થ એ હતો કે પ્રથમ ત્રણમાં મારું નામ સામેલ નહોતું. ખેર, જે થવાનું હતું એ થઇ ગયું ને મારા માટે આનંદ અને આશ્વાસનના સમાચાર એ છે કે 298 નિબંધોમાંથી માત્ર 28 શ્રેષ્ઠ નિબંધોની પસંદગી કરવામાં આવી છે જેનું સંકલન કરીને એક પુસ્તક બહાર પાડવામાં આવશે જેમાં મારી કૃતિ 'પહેલી નજરે પંચમઢી'નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

છેવટે એટલું કહેવાનું કે નિંભાડામાં બરોબર શેકાયા પછી જ જેમ માટલું પાકું બને છે એમ અનુભવોમાંથી પસાર થયા પછી જ કલમ પણ ઘડાતી જશે ત્યાંસુધી હું નિરંતર લખતો રહીશ. 

- પસંદગી પામેલી કૃતિ; "પહેલી નજરે પંચમઢી" http://kamalsangeet.blogspot.in/2014/01/blog-post_4.html.


13 મે, 2014

ઋણાનુબંધ

ઇસુસંઘમાં પગરણ માંડવા એ મારા જીવનનો પહેલો વળાંક ને ત્યાંથી પછી બાર વર્ષે વળતા પગલાં ભરવા એ બીજો વળાંક. મારા જીવનના આ સુવર્ણ વર્ષો દરમિયાન ઘાટ એવો ઘડાયો કે હું અંતર્મુખીમાંથી બહિર્મુખી વ્યક્તિત્વનો સ્વામી બન્યો ને વિચારસરણીમાં ધરમૂળથી એવો ફેરફાર આવ્યો કે લોકાભિમુખ અભિગમ મારા અસ્તિત્વનો એક હિસ્સો બની ગયો ને હું સ્વના કોચલામાંથી ધરાર બહાર આવીને બૃહદ સમાજ વિષે સતત વિચારતો થયો.

એ પછીના ગાળામાં મને સહૃદયી સંગિની ને એવા જ નિખાલસ મિત્રોનો સંગાથ મળ્યો કે મારે તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો ને આમ શરૂ થયો મારા જીવનનો 'પ્લેટીનમ કાળ.' સહિયારા વિચારો અને મનોમંથન પછી અમે વર્ષ 2011માં 'સંગત'ને ઓપ ને આકાર આપ્યો. આમતેમ કેટલાક સમાજોપયોગી કાર્યો કર્યા પછી અમે વર્ષ 2013ના મે મહિનામાં ઝૂંપડપટ્ટીઓમાં વસતા બાળકો માટે ખાસ સમર કેમ્પ યોજવાનું નક્કી કર્યું.

ગીચોગીચ ગલીઓમાં માંડમાંડ મળતું માથું ટેક્વાનું ઠામ, ગૂંગળામણ થાય એવી ગંદકી, શ્વાસ રૂંધાય એવી વાસ, દારૂ જુગાર ને આંકડાની બદી, આડા સંબંધોની નીત નવી વાતો, કજિયોકંકાશ ને ઝગડો એ ઘર ઘરની રામાયણ - આવા સૂગ ને ચીતરી ચઢે એવા વાતાવરણમાંથી આવતા બાળકોને સંનિષ્ઠ નાગરિકો બનાવવાના લાંબા ગળાના ધ્યેય સાથે અમે શરૂઆત તો કરી પણ પહેલો જ અવરોધ અમને આર્થિક યોગનો મેળ બેસાડવાનો નડ્યો. રાતદિવસ એક કરીને અમે વહીવટી પ્રશાસન, વેપારીઓ અને ધંધાકીય એકમના માલિકોનો સંપર્ક કરી જોયો પણ મોટે ભાગે અમારી વાતો બહેરા કાને અથડાઈ. ઘણેભાગે તો અમને આ કામ ભલી પેરે પડતું મૂકવાની સૂફિયાણી સલાહો જ સાંભળવા મળી. આમછતાં અમે યાહોમ કરીએ ઝંપલાવી જ દીધું ને અથાગ મહેનત કરીને પહેલા પ્રયત્ને અમારું ગાડું નભાવી જાણ્યું ને બાળકોના સુખદ અનુભવો સાંભળ્યા પછી સતત અને નિયમિતપણે એમની સાથે કામ કરવાનું નક્કી પણ કરી જ દીધું.

ગયા વર્ષના કડવા અનુભવ પછી આ વર્ષે સાથ અને સહયોગ મેળવવા માટે અમે અમારા વ્યક્તિગત સંપર્કો પર મદાર બાંધીને આગળ વધવાનું નક્કી કર્યું. અમારા એ કાર્યમાં ટેકનોલોજીનો અમને ભરપૂર સહયોગ મળ્યો ને  સોશ્યલ મીડિયાના રૂડા પ્રતાપે અમે અમારા સ્નેહીઓ, મિત્રો ને શુભેચ્છકો સુધી વેળાસર પહોંચી શક્યા. ઓળખીતા પાળખીતાઓનો ટેકો તો મળ્યો જ એ ઉપરાંત, અમારી કલ્પના બહાર અનામી ને અજાણ્યાઓ તરફથી પણ મદદનો ધોધ વહેવા માંડ્યો ને અમે ધાર્યા કરતાં વધારે સારી રીતે અમારી કામગીરીને પૂરી પડી શક્યા.

આ આખા ઘટનાચક્રને એક નજરે નિહાળવાનો પ્રયત્ન કરું છું ત્યારે સમજાય છે કે આ આખી વાત ઋણાનુબંધ સિવાય બીજું કશું જ નથી. આપણી વચ્ચેના સંબંધોના તાણાંવાણાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે ને સંકળાયેલા છે. સંબંધોના આ તાણાંવાણાં ઉત્તરોતર મજબૂત બનતા રહે એ જ અભ્યર્થનાઓ. 

19 ફેબ્રુ, 2014

સૂમ ચલી જાયેગીના તબ પતા ચલેગા.

ગઈકાલે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદમાં વાસ્ક્યુલર સર્જનની મુલાકાત લીધી ને આજથી બરોબર બાર વર્ષ પહેલાંનો અનુભવ યાદ આવી ગયો. 2002 પહેલા, છેલ્લા ત્રણ વર્ષોથી હું 'વેરીકોઝ વેઇન' નામની બીમારીથી પીડાતો હતો. દર્દ જયારે અસહ્ય બન્યું ત્યારે ડોક્ટર કે. કે. શાહે સલાહ આપીને જણાવ્યું કે ઓપરેશન કરવું પડશે. આવતે અઠવાડિયે સવારે દસ વાગ્યે હાજર થઇ જજો. બાર વાગ્યે ઓપરેશન શરૂ કરીશું.

ડોક્ટરની સલાહ ને મારી જરૂરીયાતને સાદ આપીને હું બરોબર દસ વાગ્યે પાલડીમાં આવેલી એમની હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. ઓપરેશનને હજી બે કલાકની વાર હતી એટલે આજુબાજુમાં અન્ય દર્દીઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું. હું પોતે નિર્ભય અને સ્વસ્થ હતો એટલે બીજાને પણ એનો ચેપ લાગે એ હેતુથી એમની સાથે હસતાં હસતાં વાતચીત શરૂ કરી. મને હસતો જોઇને એક બહેનને આશ્ચર્ય થયું ને છેવટે ન રહેવાયું એટલે મને સંભળાય એ રીતે બોલવા માંડ્યા;"બહોત હસતા હે ઓપરેશન હોગા ના તબ પતા ચલેગા."

બરોબર બાર વાગ્યે ઓપરેશન થીયેટરમાં દાખલ થયો ત્યારે પણ હું હસતો હતો એટલે પેલા બહેને ફરીથી મને સંભળાવ્યું;"અંદર જાયેગા ના તબ પતા ચલેગા, ઉસકી હંસી યું ઉડ જાયેગી." અંદર દાખલ થયા પછી જમણા પગમાં કાપકૂપ કરવાની હોવાથી મને લોકલ એનેસ્થેશિયા આપીને અર્ધબેભાન કરવામાં આવ્યો. શરૂઆતમાં શું ચાલી રહ્યું હતું એની મને ખબર પડતી હતી એટલે ડોક્ટરને સતત પ્રશ્નો પૂછતો રહ્યો. છેવટે ડોકટરે એમનાં મદદનીશને મારી આંખોને પટ્ટી મારીને બંધ કરવાની સલાહ આપી જેથી તેઓ શાંતચિતે પોતાનું કામ કરી શકે. લગભગ કલાક પછી ઓપરેશન પૂરું થયું. મારો જમણો પગ અદ્ધર લટકતો હતો ને એજ હાલતમાં મને સ્ટ્રેચર પર સૂવડાવીને મારા રૂમમાં લઇ જવામાં આવ્યો. જેવો જનરલ વોર્ડમાંથી પસાર થયો ને મને જાગતો અને સ્વસ્થ જોયો કે તરત જ પેલા બહેનથી બોલ્યા વિના ન રહેવાયું;"સૂમ ચલી જાયેગીના તબ પતા ચલેગા."

એમના કહેવાનુસાર લગભગ ત્રણ કે ચાર કલાક પછી એનેસ્થેશિયાની અસર ઓસરવા માંડી ને ધીમેધીમે પગમાં દુખાવો શરૂ થવા માંડ્યો. નર્સે મને 'પેઈન કિલર' આપવા માંડી પણ એ દુખાવાને સહન કરવાની અજબ શક્તિ મારામાં હતી એટલે મેં વિનયપૂર્વક એ દવા લેવાની ના પાડી દીધી. પેલા બહેને જયારે આ વાત સાંભળી ત્યારે એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. 

લગભગ 48 કલાક મારો પગ હવામાં લટકતો રહ્યો ને હું સભાનપૂર્વક એ અવસ્થાને માણતો રહ્યો.

2 ફેબ્રુ, 2014

હું તમને ઓળખી ના શક્યો.


પક્ષીદર્શન અને નિરીક્ષણ માટે બાળકોને લઈને વહેલી પરોઢે સાડાચાર વાગે નીકળવાનું આયોજન હતું. આગલે દિવસે સાંજે ગાડીનો ડ્રાઈવર સમયસર પહોંચશે કે કેમ એની ચિંતામાં હું હતો ને એમનો ફોન સામેથી આવ્યો.; "સાહેબ, મારું નામ દેવજીભાઈ. આવતીકાલે હું તમારી સાથે આવવાનો છું. ચિંતા કરશો નહિ તમે જણાવશો એ સમયે હું વેળાસર પહોંચી જઈશ."
"જુઓ દેવજીભાઈ, ચાવડાપુરાથી આપણે સાડા ચારે નીકળવાનું છે એટલે તમે મારા ઘરે પોણાચાર વાગ્યે પહોંચી જજો." મેં મારી ચિંતા રજૂ કરી.
મારા સુખદ આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે સવારે પોણાચાર વાગ્યે ફોન આવ્યો;"સાહેબ, હું પુષ્પવિહાર આગળ ઉભો છું."

વહેલી સવારે ટ્યૂબલાઈટના ઝાંખા પ્રકાશમાં દૂરથી મેં એમને ગાડી આગળ બીડી ફૂંકતા જોયા. કાનમાં ચાંદીની કડી, ઓળ્યા વગરના અસ્તવ્યસ્ત વાળ, ચોળાયેલા કપડાં ને પગમાં સફેદ ચંપલ - આવો લઘરવઘર દેખાવ જોઇને હું તરત જ મનોમન બબડ્યો;"ચોક્કસ આજે અમારો દિવસ બગડવાનો છે. આ માણસ લબાડ લાગે છે."

"આવો સાહેબ, ગુડ મોનીંગ." દરવાજો ઉઘાડીને એમણે મને ભાવથી આવકાર્યો. હું ભોંઠો પડ્યો.
"સાહેબ, આપણે કયા રસ્તે અમદાવાદ જવાનું છે ?" બાળકો આવી ગયા પછી બસ અને જીપમાં અમારો કાફલો અમદાવાદ ભણી રવાના થયો પછી એમણે મને અપેક્ષિત પ્રશ્ન પૂછ્યો.
"જુઓ દેવજીભાઈ, આપણે પેલી બસને અનુસરવાનું છે જેથી આપણે બધા સાથે રહીએ." મેં જવાબ આપ્યો.
બસ કરતાં ઝડપથી આગળ જઈ શકાય એમ હોવા છતાં દેવજીભાઈ  નિરાંતે એકધારી ઝડપે ગાડી ચલાવતા રહ્યા ને અમે કોઈપણ મુશ્કેલી વગર થોળ પહોંચી ગયા.

સરોવરની પ્રદક્ષિણા કર્યા પછી અમે થાકેલા પાકેલા પાછા આવ્યા ત્યારે દેવજીભાઈ રસોઈયાને યથાશક્તિ મદદ કરી રહ્યા હતા. જમ્યા પછી એમની સાથે વાત કરવાની તક મળી. એમની મૃદુ ભાષા, મળતાવડો સ્વભાવ અને મદદરૂપ થવાની ભાવનાથી હું તો આભો જ બની ગયો. સાંજે ચાવડાપુરા પાછા વળ્યા પછી અમને સ્ટેશન સુધી મૂકવા આવવાનું સૌજન્ય એ ન ચૂક્યા. અને જતાં જતાં અમને કહેતા ગયા;"સાહેબ, મારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરજો."

એક્સીલેટર પર પગ દબાવીને એમણે તો ગાડી દોડાવી મૂકી ને મારે જે કહેવાનું હતું એ મનમાં ને મનમાં જ રહી ગયું;"દેવજીભાઈ, ભૂલ તમારી નહિ બલ્કે મારી થઇ છે. બની શકે તો મને માફ કરજો કારણ, હું તમને ઓળખી ના શક્યો."

(નોધ : નામ બદલ્યું છે.)

13 જાન્યુ, 2014

બાપુ મને 'લખવું' આવે છે.

ઇસુસંઘીઓની સંગાથે રહ્યા પછી ગુજરાતી સાહિત્યના રંગે રંગાયો ને પછી બાપુના સાહિત્યને અવિરત વાંચવાનું શરુ કર્યું. એ જ સમય દરમિયાન જયારે જયારે રજાઓમાં ઘરે આવું ત્યારે ત્યારે અચૂક બાપુની મુલાકાત લઉં. આવી જ એક અંગત મુલાકાતમાં મેં બાપુને શરમાતા શરમાતા ઉપરોક્ત વાક્યમાં મારા મનનો ભાવ વર્ણવી દીધો. બાપુ મારી સામે ઘડીક તાકી રહ્યા ને પછી મરક મરક હસવા માંડ્યા. હું ગભરાયો. મનમાં થયું કે બાપુ આગળ બોલવામાં ક્યાંક કાચું તો નથી કપાયું ને !
"તને રડવું આવે તો તું શું કર ?" થોડી વાર પછી બાપુએ મને પ્રશ્ન પૂછવાનું શરુ કર્યું.
"રડવા માંડું." દિલ પર હાથ રાખીને મેં જવાબ આપ્યો.
"અને હસવું આવે તો ?"
"ખડખડાટ હસુ." બોલતા બોલતા મેં હસવાનું શરુ કર્યું.
તો પછી હવે વિચારો શાના કરે છે. ચોટલી બાંધીને લખવા બેસી જા. જે વિચાર આવે એ લખ અને મનમાં ગાંઠ વાળ કે લખવાનું ક્યારેય નેવે મેલીશ નહિ.

કાશ, બારેક વર્ષ પહેલાં આપેલી એમની એ  શિખામણને મેં ગાંઠે બાંધી હોત તો ! ખેર, દેર સે આયે દુરસ્ત આયે. યોગાનુયોગ તો જુઓ સોશિયલ મિડિયા પર સક્રિય થયા પછી મેં ગુજરાતીમાં લખવાની શરૂઆત કરી બાપુને શ્રદ્ધાંજલિ આપતા એક નાનકડા લખાણથી. એ ઘડી ને આજનો દા'ડો ત્યાર પછી પાછા વાળીને મેં ક્યારેય જોયું નથી ને લખતા લખતા આવા લગભગ છપ્પન કરતાં વધારે નાના લખાણો લખ્યા છે.

નાના અને ટચૂકડા ભલે રહ્યા આ લખાણો - સર્જક તરીકે આ લખાણો મને અપાર આનંદ અને સંતોષ આપે છે જાણે મારે માટે એ છપ્પન ભોગનો થાળ ન હોય !

શરૂઆતમાં આ લખાણોના સંકલનને મેં નામ આપ્યું હતું;"રખડવાનો આનંદ" અને એને જુદા જુદા વિભાગોમાં વહેંચી નાખ્યું હતું જેમ કે, વિદ્યાર્થીઓ સાથે સંવાદ, ઘર અને કુંટુંબ, લગ્ન જીવન, પાનો ચઢે એવી વાતો અને માનવતાનું ગાન વગેરે વગેરે. પરંતુ આજે જયારે આ બધાને એકસાથે એક સંપુટ તરીકે નિહાળું છું ત્યારે લાગે છે કે આ તો મારા 'મનની મિરાત' છે.

મિરાત એટલે મૂડી, દોલત કે ખજાનો. આમ જુઓ તો આ પણ ખજાનો જ છે ને ! ખજાનો મારી યાદોનો, સંસ્મરણોનો ને મારા અવિસ્મરણીય  અનુભવોનો !

આ વેળાએ બાપુને હું વંદન કરું છું. મારી સંગિની, તથ્ય ને મારા કુટુંબીજનોને ખાસ યાદ કરું છું કે જેઓ મને લખવા માટે સતત પ્રેરણા ને પ્રોત્સાહન આપતા રહ્યા છે. ટેકનોસેવી દોસ્ત સિદ્ધરાજ સોલંકીને ખાસ યાદ કરું છું કે જેણે મને ટેકનીકલ માહિતી પૂરી પાડીને 'બ્લોગ્સ' લખવાનું મોંઘેરું સૂચન કર્યું.

અંતમાં, આપસહુ મિત્રોના સથવારા વગર આ સફર અધૂરી ને અપૂર્ણ જ રહી હોત !

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...