27 ડિસે, 2014

મારે 'થમ્સઅપ' જોઈએ છે.

'નોવિશિયેટ' એટલે ઇસુસંઘનું પ્રવેશદ્વાર. ઇસુસંઘી બનવા માટે ઝંખતી દરેક વ્યક્તિએ કડક નિરીક્ષણ અને આકરા પરીક્ષણમાંથી પસાર થયા પછી શરૂઆતનાં બે વર્ષો 'નોવિસ' એટલે કે નવોદિત ઉમેદવાર તરીકે 'નોવિશિયેટ'માં ગાળવા પડે છે. 'નોવિશિયેટ' ને આપણે એક ચોક્કસ પ્રકારના તાલીમકેન્દ્ર તરીકે ઓળખી શકીએ. ગુજરાતમાં આ કેન્દ્રનું નામ છે;"સાધના સદન". જેવું નામ તેવા જ ગુણ. આ બે વર્ષ દરમિયાન અહીં આવનાર દરેક ઉમેદવાર પોતાનો સમય સાધનામાં ગાળે. એવી સાધના જ્યાં વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકે, પ્રભુ સાથેના પોતાનાં સંબંધોને પારખી શકે અને ઇસુસંઘને ઓળખી શકે. આ હેતુ સિદ્ધ થાય એ માટે મોટાભાગનો સમય ચિંતન, મનન અને પ્રાર્થનામાં વીતે એની કાળજી રાખવામાં આવે. એ ઉપરાંત, ધાર્મિકગ્રંથ બાઈબલનું પાયાનું જ્ઞાન તથા ઇસુસંઘનાં નીતિનિયમોની જાણકારી પણ આપવામાં આવે. 

આ બે વર્ષની તાલીમ લશ્કરી તાલીમની પેઠે આકરી ને અઘરી હોય. દુન્યવી સંપર્કો ને સંબંધોથી અળગા રહીને સતત જાત સાથે મથામણ કરતા રહેવું એ સહેલું તો ન જ હોય ને! આ કેન્દ્રમાં દરેક ઉમેદવારને 'બ્રધર' તરીકે ઓળખવામાં આવે ને એમના ઉપરી 'નોવિસ માસ્ટર' તરીકે ઓળખાય. આ તાલીમમાંથી પાર ઉતરનાર દરેક ઉમેદવાર ત્રણ આજીવન વ્રતો - અપરિગ્રહ, આજ્ઞાધીનતા ને બ્રહ્મચર્ય - વિધિસર ધારણ કરે ને ત્યારપછી તે ઇસુસંઘી, ટૂંકમાં ઈ.સં. કે એસ. જે. તરીકે ઓળખાય.  

1996માં હું 'નોવિશિયેટ'માં દાખલ થયો હતો. તાલીમનાં ભાગરૂપે અમારે ત્રણ અનુભવોમાંથી પસાર થવાનું હતું. પહેલો અનુભવ પૂરા એક મહિના માટે રક્તપિત્તના દર્દીઓની સેવામાં ગાળવાનો, બીજો અનુભવ ગામડાઓમાં જઈને લોકો સાથે રહેવાનું ને ત્રીજો યાદગાર અનુભવ એટલે એક મહિનો અધ્યાત્મિક સાધના(રીટ્રીટ)માં ગાળવાનો. પ્રથમ વર્ષે ઉનાળાની રજાઓમાં અમે ઝઘડીયા તાબાના આદિવાસી ગામડાઓમાં રોકાયા હતા. બરોબર એક મહિના પછી 'માસ્ટર' અમને તેડવા માટે આવ્યા હતા. ઉનાળાની બળબળતી બપોરે જમ્યા પછી અમે કુલ આઠ જણ ત્યાંથી જીપમાં નીકળ્યા. દોઢ બે કલાકની મુસાફરી પછી માસ્ટરે એક ઠેકાણે ચાપાણી માટે ગાડી ઉભી રાખી. ઉનાળાનો સમય હોવાથી એમણે બધાની માટે ઠંડુ પીણું 'ગોલ્ડસ્પોટ'નો ઓર્ડર નોંધાવ્યો. 'ગોલ્ડસ્પોટ' નામ સાંભળીને મને થોડો ખચકાટ થયો એટલે માસ્ટરની પાસે જઈને વિનવણીભર્યા સ્વરે મેં એમને કહ્યું;'માસ્ટર, ગોલ્ડસ્પોટ'નો ગળ્યો સ્વાદ મારા ગળે ઉતરતો નથી એટલે મારે માટે 'થમ્સઅપ' મંગાવો તો સારું!."
મારી વિનંતી કાને ધરીને મરક મરક હસતાં હસતાં એમણે મને કહ્યું;"બ્રધર, તમે ઇસુસંઘમાં ઉમેદવાર છો. ન જાણતા હોય તો જાણી લો કે ઇસુસંઘમાં ક્યારેય માંગેલું મળતું નથી. જે તમને આપવામાં આવે એ, ગમે કે ન ગમે છતાં હોંશેહોંશે સ્વીકારી લેવાનું."
"ગમે કે ન ગમે છતાં હોંશેહોંશે સ્વીકારી લેવાનું?" મનમાં ને મનમાં હું એમના શબ્દોને વાગોળતો રહ્યો ને એટલામાં વેઈટરે પાસે આવીને મારી સામે "ગોલ્ડસ્પોટ"ની બોટલ ધરી દીધી. 

કહેવાની જરૂર નથી કે એ દિવસે 'ગોલ્ડસ્પોટ'નો સ્વાદ મને ગળ્યો નહિ બલ્કે, ઝેર જેવો કડવો વખ લાગ્યો હતો. 


ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...