પાંસઠ વર્ષના પેટ્રીક ફર્નાન્ડીઝ નામના માછીમાર જયારે ૧૮મી ઓગસ્ટના રોજ અલાપ્પુઝા જીલ્લાના છેન્ગ્ન્નુર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે મોટા ભાગની જમીન બેટમાં ફેરવાઈ ચૂકી હતી અને ચારે બાજુ પાણી વચ્ચે સેંકડો લોકો ફસાઈ ચૂક્યા હતા.
સરકારી મદદ આવે એ પહેલાં જ પેટ્રીકભાઈ અને એમનાં જેવા બીજા માછીમારોએ બચાવકાર્ય ચાલુ કરી દીધું. જયારે સરકારી મદદ આવી ત્યારે પણ સરકાર પાસે આ બચાવ અભિયાનને ઝડપથી પૂરું કરવા માટે પૂરતી મશીનરી નહોતી અને બીજું, બહારથી આવેલા આર્મીના જવાનો અહીંની ભૂગોળથી પરિચિત નહોતા.
આથી બચાવકાર્યને ઝડપી બનાવવા માટે સ્થાનિક ચર્ચના ધર્મગુરુઓ પાસે મદદ માટે ટહેલ નાંખવામાં આવી કારણ કે, બહુમતિ માછીમારો ખ્રિસ્તી ધર્મ પાળતા હતા.
કેટલેક ઠેકાણે અડધી નારીયેળી ડૂબી જાય એટલું પાણી ભરાયું હતું ને કેટલેક ઠેકાણે ધસમસતા પાણીનો પ્રવાહ ભયજનક હતો આમ છતાં પોતાની જાતની અને પોતાની જીવાદોરી સમાન હોડી અને અન્ય સાધનોને થનાર સંભવિત નુકસાનની પરવા કર્યા વિના સેંકડો માછીમારો આ અભિયાનમાં જોડાઈ ગયા અને રાત દિવસની આકરી મહેનતને અંતે દોઢ લાખ કરતાં વધારે લોકોને બચાવવામાં નિમિત બન્યા.
સરકારે જયારે ડીઝલ અને અન્ય ભથ્થા પેટે રોજના રૂ. ૩૦૦૦ આપવાની તૈયારી બતાવી ત્યારે આ માછીમારોએ માનવતાના આ કાર્ય માટે એ નાણા સ્વીકારવાનો ધરાર ઇન્કાર કરી દીધો.
દરિયાના આ દાનવીર દીકરાઓએ સમગ્ર ભારતવર્ષની ભૂમિને પોતાની મદદરૂપ બનવાની ભાવનાથી ઉજ્જવળ અને દેદીપ્યમાન બનાવી છે.
(સૌજન્ય: ૨૫/૦૮/૧૮, Nidheesh M.K. / Livemint.com)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો